Home News Update My Gujarat ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યા ITની રેડ…

ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યા ITની રેડ…

0

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં ઈન્કમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમો ત્રાટકી છે. હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 20થી વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.

હીરા ઉદ્યોગમાં ફફડાટ

હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાનું સામે આવી રહ્યું છે. ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

બિલ્ડરલોબીમાં ડર

હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડરલોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ડરનો માહોલ પેદા થયો છે.

મોટા નામ ઝપેટમાં

આવકવેરા ખાતાનાં સૂત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

બેનામી સંપત્તિ ઝડપાવાની આશંકા

આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં દિવાળી બાદ બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધા તથા હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતાં દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૂંટણી બાદ રેડથી ચર્ચાઓએ જોર પકડ્યું

મતદાનના બીજા જ દિવસે રેડ પડતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version