Published By : Patel Shital
- આજે 44 વર્ષે 11 રાજ્યો અને 5 માં સહયોગી સાથે સત્તામાં સર્વોપરી
- 43 વર્ષમાં 2 થી 303 સુધી પહોંચ્યું ભાજપ, 11 રાજ્યોમાં હજી સુધી ભાજપના CM બન્યા નથી
- આજે BJP નો 44મો સ્થાપના દિવસ, 2014 થી મોદી-શાહના નવા યુગના ઉદયે કમળને દેશભરમાં પ્રતિપાદિત કર્યું
- કમળના ફૂલને ચૂંટણી ચિન્હ બનાવીને ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ બંનેનું આચરણ કરી આજે સત્તાના સર્વોચ્ચ શિખરે
- માર્ચ 2018 સુધીમાં ભાજપ 21 રાજયોમાં પોહચ્યું જે તેનું ટોચનું પ્રદર્શન હતું
ભારતીય જનતા પાર્ટી આજે 43 વર્ષની થઈ છે. ભાજપે તેના અગાઉના અવતારમાં જનસંઘ તરીકે અને 6 એપ્રિલ 1980 થી ભારતીય જનતા પાર્ટીના નામ હેઠળ તેની વિચારધારા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો. સંઘર્ષ કરીને સફળતા મેળવી અને પછી ટોચનું સ્થાન મેળવ્યું.
ચાર દાયકાઓ સુધી અટલ – અડવાણીના નેતૃત્વમાં, પાર્ટી ‘એકલા ચલો’ અને ‘ગઠબંધન દૌર’માંથી પસાર થઈ અને તેના મૂળને મજબૂત કર્યા. શિવસેના અને અકાલીઓ સાથે લાંબી મિત્રતા અને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે હાથ ન મિલાવવાની નીતિનો સમયગાળો રહ્યો.
આઝાદી પછી જનસંઘના યુગના ઘણા રાજકીય પક્ષોએ તેમની ઓળખ ગુમાવી દીધી. જયારે ભાજપ આજે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
છેલ્લા 9 વર્ષથી નરેન્દ્રભાઇ મોદી પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન પદ પર છે. તેમના નેતૃત્વમાં પાર્ટીએ છેલ્લા એક દાયકામાં ઘણા રાજયોમાં જીત મેળવી છે. ત્રિપુરા જેવા રાજયમાં ”કમળ” ખીલવાથી ઘણા રાજકીય નિરીક્ષકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા. છેલ્લા બે વખતથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભાજપના જ ઉમેદવારો જીતી રહ્યા છે.
આજે 11 રાજયોમાં ભાજપના મુખ્યમંત્રી છે, જયારે 5 રાજયોમાં તેમના સહયોગથી સરકારો ચાલી રહી છે. RSS નું સભ્યપદ છોડવાના મુદ્દે જનતા પાર્ટીમાં ભાગલા પડ્યા. જનસંઘના નેતાઓએ પોતાનો અલગ પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. આ રીતે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી.
1980 ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જનતા પાર્ટીની કારોબારી બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને જનતા પાર્ટીના નેતાઓને RSS સાથે જોડાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જનસંઘમાંથી જનતા પાર્ટીમાં આવેલા નેતાઓએ નવા રાજકીય વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું. 1980 સુધીમાં જનતા પાર્ટીમાં સમાજવાદી અને જનસંઘ સાથે જોડાયેલા નેતાઓના રસ્તા અલગ થઈ ગયા.
અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને જનસંઘના અન્ય નેતાઓએ 6 એપ્રિલ 1980 ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના નામથી નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી. અટલ બિહારી વાજપેયી ભાજપના પ્રથમ અધ્યક્ષ બન્યા.
જનસંઘનું ચૂંટણી ચિન્હ ‘દીપક’ હતું જયારે ભાજપનું ચૂંટણી ચિન્હ ‘કમળ’ ફૂલ રાખવામાં આવ્યું હતું. ભાજપના સ્થાપકોએ ‘કમળ’ને ચૂંટણી ચિહ્ન બનાવ્યું કારણ કે આ પ્રતિકનો ઉપયોગ ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસન સામે કર્યો હતો. આ ભારતીયતા દર્શાવે છે. કમળના ફૂલને હિંદુ પરંપરા સાથે જોડીને પણ જોવામાં આવે છે. કમળ પણ રાષ્ટ્રીય ફૂલ છે. આ રીતે કમળના ફૂલને ચૂંટણી ચિન્હ બનાવીને ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ બંનેનું આચરણ કરી રહ્યું છે.
2014 ની સામાન્ય ચૂંટણી પહેલા ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના વડા બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપે 282 બેઠકો સાથે સત્તામાં વાપસી કરી હતી. અહીંથી ભાજપમાં એક નવા યુગની શરૂઆત થઈ જે મોદી-શાહ યુગ તરીકે ઓળખાય છે.
આ પછી એક પછી એક અનેક રાજયોમાં ભાજપની સરકાર બની. ડિસેમ્બર 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘જ્યારે ઈન્દિરા ગાંધી સત્તામાં હતા ત્યારે કોંગ્રેસની સરકાર 18 રાજયોમાં હતી, પરંતુ જયારે અમે સત્તામાં છીએ ત્યારે અમારી સરકાર 19 રાજયોમાં છે.’ માર્ચ-2018 સુધીમાં ભાજપ 21 રાજયોમાં પહોંચી ગયું હતું. આ ભાજપની ટોચ હતી. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014 ની સરખામણીમાં મોટી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી. આ પ્રથમ વખત હતું જયારે બિન-કોંગ્રેસી પક્ષને બીજી વખત બહુમતી મળી હતી.
દેશમાં હજી 11 રાજ્યોમાં ભાજપના CM બન્યા નથી
પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મિઝોરમ, તેલંગણા, પંજાબ, કેરળ, ઓડીસા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, સિક્કીમ, મેઘાલય.