તબીબી ક્ષેત્રે અનોખી સફળતાં પ્રાપ્ત થતા મગજનું ઓપરેશન થઇ રહ્યું હોય અને છત્તાં માનવી પોતાના હાથ-પગનું હલન ચલન કરી શકે છે. સામાન્ય રીતે મગજનું ઓપરેશન એટલે એવી માન્યતા છેકે, સંપૂર્ણપણે બેભાન હોય અને ડોક્ટર મગજની ગાંઠ કાઢી નાંખે. પણ જૂનાગઢનાં ન્યુરો સર્જન ડો. ધવલ ગોહિલે જરા જુદી રીત અપનાવી છે. તબીબે જણાવ્યુ કે મારી પાસે જલ્પાબેન કાછડિયા નામના પેશન્ટ આવ્યા તેમને મગજની ગાંઠ હતી. એ ગાંઠનું લોકેશન એવી જગ્યાએ હતું જ્યાંથી શરીરના હાથ-પગનું હલન ચલન કંટ્રોલ થાય.
જો તેમને બેભાન કરીને ઓપરેશન કરીએ તો ગાંઠ પૂરેપૂરી કાઢવામાં તકલીફ રહે. કારણકે, હાથ-પગના હલનચલનને કંટ્રોલ કરતો ભાગ ડેમેજ ન થવો જોઇએ. આથી ઓપરેશન વખતે તેમનો લાઇવ ફીડબેક મળવો ખુબજ જરૂરી હતો આથી ઓપરેશન વખતે ફક્ત મગજનું રક્ષણ કરતા તેમજ બીજા ભાગને એનેસ્થેસિયાથી સતત બહેરો કરી ઓપરેશન શરૂ કર્યું. સાથે તેમના હાથ-પગનું હલનહલન સાડા ત્રણ કલાકના ઓપરેશન દરમ્યાન સતત ચાલુ રાખ્યું. આથી તબીબને સતત લાઇવ ફીડબેક મળ્યો કે, ગાંઠ હજુ હાથ-પગના હલનચલન કંટ્રોલીંગ પોઇન્ટથી દૂર છે.
દર્દીને 1-2-3-4 એમ આંગળીના વેઢા પણ ગણાવ્યા આથી તેમનો સતત ફીડબેક મળ્યો. જો તેમને બેભાન કરીને ઓપરેશન કરીએ તો થોડી ગાંઠ નીકળે અને બીજો ભાગ ડેમેજ ન થાય એની બીકે ગાંઠ રહી પણ જાય. તો એ પૂરું થયા પછી ખબર પડે કે અંદર ગાંઠ તો રહીજ ગઇ છે. વળી મગજનો સાવ અંદરનો ભાગ પેઇનલેસ હોય છે. ત્યાં વાઢકાપ થતી હોય એનું દર્દ ન થાય. પણ જો કોઇ બીજા કંટ્રોલીંગ પોઇન્ટ ડેમેજ થાય તો તેની અસર શરીરના જેતે ભાગ પર થાય. આમાં એનેસ્થેટિસ્ટની સતત હાજરી અનિવાર્ય પણ હોય છે. ડૉ તુષાર સખરેલીયા અને ડો. દીપક ચોથાણી સતત હાજર રહી માર્ગદર્શન આપતા રહ્યા. આમ અમારે તેને સતત જાગૃત રાખવા પડ્યા અને તેમના હાથ-પગનું હલનચલન કરાવતા રહેવું પડ્યું. એટલેજ વધુમાં વધુ ગાંઠ અમે કાઢી શક્યા. આ પ્રકારનું સૌરાષ્ટ્રમાં પ્રથમ ઓપરેશન હતું. આજ રીતે જો સ્પીચ માટેના કંટ્રોલીંગ પોઇન્ટ નજીક ગાંઠનું લોકેશન હોય તો પણ દર્દીને સતત જાગૃત અવસ્થામાં રાખીને સતત કાંઇને કાંઇ બોલાવતા રહીને ઓપરેશન કરવું પડે. જેથી તેમના એ ભાગમાં જરાક પણ ફેરફાર થાય તો અમને લાઇવ ફીડબેક મળતો રહે.જૉકે માનવીના મગજની બધી ગાંઠ આ રીતે દૂર ન થાય.
ફક્ત હાથ-પગનાં હલનચલનના કંટ્રોલીંગ પોઇન્ટ અને બોલવાના કંટ્રોલીંગ પોઇન્ટ પાસે ગાંઠનું લોકેશન હોય તો જ તેને જાગૃત રાખીને ગાંઠ કાઠવામાં આવે. જો બીજા ભાગનું હોય તો તે ઓપરેશન વખતે હલન ચલન કરે તો નુકસાન થાય એટલે તેને પૂરો બેભાનજ કરવો પડે. એમ ડો ધવલ ગોહિલે જણાવ્યું હતું