Published by : Vanshika Gor
કોરોના મહામારીના બાદ કેન્દ્રીય કર્મચારીઓના રોકેલા DA એરિયર્સને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો પડી શકે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રોકેલું 18 મહિનાનું મોંઘવારી ભથ્થું તેમને આપવામાં આવશે નહીં.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી કહ્યું, DA ચૂકવવાની કોઈ યોજના નથી
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપ્યો કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા અને મોંઘવારી રાહત આપવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 ના રોજ રજૂ કરાયેલ મોંઘવારી ભથ્થું બંધ કરવાનો નિર્ણય કોરોના મહામારી વચ્ચે આર્થિક વિક્ષેપને કારણે લેવામાં આવ્યો હતો, જેથી સરકાર પરનો નાણાકીય બોજ ઓછો કરી શકાય. જે નિર્ણયથી સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી હતી. DA બાકી ન આપવાના સરકારના નિર્ણયથી રોગચાળા દરમિયાન થયેલા નાણાકીય નુકસાનને ઘટાડવામાં ઘણી મદદ મળી છે.
કેન્દ્રના કર્મચારીને લાગશે ફટકો
કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના DA બાકી છે. દેશમાં કોરોના મહામારી હતી જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કર્મચારીઓના DA હોલ્ડ પર રાખ્યા હતા. જ્યારે આ મહામારી દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે કર્મચારીઓને તેમની બાકી DAની રકમ પાછી મળવાની આશા હતી. પરંતુ હવે નાણામંત્રીએ DAની બાકી રકમ અંગે સ્પષ્ટ કરી દીધું છે. જેના લીધે કેન્દ્રીય કર્મચારીઓને ફટકો પડી શકે છે.