સરકારે કોરોનાની નેઝલ વેક્સિનને (નાકથી લઈ શકાય તેવી રસી)ને મંજૂરી આપી છે. ભારત બાયોટેકના નાકમાંથી લેવામાં આવેલી આ રસી બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. સૌથી પહેલા તેને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને આજથી જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી છે. અગાઉ, કોર્બાવેક્સને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભારતમાં કોરોનાના વધતા જતા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે 3 વાગ્યે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં કોવિડની સ્થિતિ અને તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે કેન્દ્ર સરકાર લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી શકે છે, પરંતુ તેને ફરજિયાત બનાવશે નહીં.
આ પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના ડૉ. અનિલ ગોયલે કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર રહેશે નહીં. IMA અનુસાર, ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ ચીન કરતાં વધુ મજબૂત છે. ભારતની 95% વસતિ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, તેથી દેશમાં કોઈ લોકડાઉન કરવું પડે એવી સ્થિતિ નહીં આવે.