- પ્રમુખસ્વામીનગરમાં કોઈ વસ્તુ ખોવાય તો ચિંતા કરવાની જરૂર નથી.. માત્ર ત્રણ સ્ટેપમાં જ મળી જશે..
અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દિવસના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. જેથી એવી ઘણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે લોકોને પણ મુશ્કેલી ન પડે. લાખો લોકો ઉમટે ત્યારે સૌથી મોટી ચિંતા કોઈ વસ્તુ ખોવાવવાની હોય અને આવા સમયે જેના હાથમાં ખોવાયેલી વસ્તુ આવે, તે અસલ માલિકને પરત કરવા ઈચ્છે તો પણ ઘણી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે આ જ સમસ્યાના સમાધાન માટે પ્રમુખસ્વામીનગરમાં એક ખૂબ બિરદાવવા પાત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી કોઈની પણ ખોવાયેલી વસ્તુ ગણતરીના સમયમાં જ સરળતાથી મળી જાય છે
જેનાં માટે BAPS સંસ્થા દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. જેનું નામ છે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’. આ સોફ્ટવેરની કામગીરી અંગે વિગતે જોતાં પ્રમુખસ્વામીનગરમાં કોઈ વ્યક્તિને ખોવાયેલી વસ્તુ મળે તો તેને અલગ-અલગ વિસ્તારમાં બનાવવામાં આવેલા 12 ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટરમાંથી કોઈપણ એક સેન્ટર પર જમા કરાવી શકે છે. આ વ્યક્તિ પાસેથી જે તે વસ્તુની સામાન્ય વિગતો લેવામાં આવે છે, ત્યાર બાદ એ વસ્તુની સરળતાથી ઓળખ થાય તે રીતે સોફ્ટવેરમાં માહિતી ભરવામાં આવે છે. સોફ્ટવેર પર એન્ટ્રી થતાં જ એ વસ્તુના નામનું એક યુનિક આઈડી જનરેટ થાય છે. આ સાથે જ તમામ સેન્ટરના કમ્પ્યુટર પર પણ આ માહિતી અપડેટ થઈ જાય છે. ત્યાર બાદ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર જ એ વસ્તુને સલામતી સાથે લોકરમાં મૂકી દેવામાં આવે છે તે સાથે બીજી તરફ પ્રમુખસ્વામીનગરમાં આવેલા કોઈ વ્યક્તિને પણ પોતાની વસ્તુ ખોવાયાનો ખ્યાલ આવે તો તે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પહોંચીને જે તે વસ્તુ પરત મેળવી આપવા અપીલ કરી શકે છે. આ વ્યક્તિએ આપેલી માહિતી મુજબની જ કોઈ વસ્તુ સેન્ટર પર પહેલાથી જમા હોય તો તેના વેરિફિકેશન માટે કેટલાક સવાલો કરવામાં આવે છે. જેમ કે, મોબાઈલ ખોવાયો હોય તો, તે કઈ કંપનીનો હતો?, છેલ્લે કોને ફોન કર્યો હતો?, મોબાઈલ પર વોલપેપર કેવો છે?, જો દાવો કરનાર વ્યક્તિ આવા સવાલોનો સંતોષકારક જવાબ આપે તો તેની ઓળખનો પુરાવો લઈને વસ્તુ પરત કરી દેવામાં આવે છે જોકે ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિની વસ્તુ ખોવાઈ જાય અને ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર એ વસ્તુ પહોંચી ન હોય. આવી સ્થિતિમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. વસ્તુ ખોવાઈ ગયાની ફરિયાદ અંગે પણ અહિંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વસ્તુ ખોવાયાનો દાવો કરનાર વ્યક્તિ પાસેથી ઝીંણવટપૂર્વક વિગતો મેળવવામાં આવે છે. ત્યાર બાદ મેચિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સ્વયંસેવકો જ્યારે પણ એ વસ્તુ મળી આવે ત્યારે તેના માલિકને ફોન તેમજ ઈ-મેઈલ કરીને જાણ કરતા હોય છે.
પ્રમુખસ્વામીનગરમાં સ્વયંસેવકો પણ સતત લોકોની સેવામાં રહે છે. આ સ્વયંસેવકોને પણ મહિનાઓ પહેલાથી જ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. જેથી ઈમરજન્સીના સમયમાં પણ સ્થિતિ સંભાળી શકે. પરિવારથી વિખુટું પડેલું કોઈ બાળક પણ તેમને મળી આવે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું અને કેવા પ્રયાસોથી તેની પાસેથી પરિવાર અંગેની માહિતી કઢાવી શકાય તેનો પણ આ સ્વયંસેવકોને ખ્યાલ હોય છે.