Published by : Rana Kajal
ભરૂચ સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, દ્વારા આમોદ તાલુકાનાં કેસલું ગામે ગ્રામીણ કૃષિ મોસમ સેવા પ્રોજેકટ અંતર્ગત ખેડૂત જાગૃતિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૯૦ જેટલા ખેડૂતમિત્રોએ ભાગ લીધો હતો. ગ્રામીણ કૃષિ મોસમ સેવા પ્રોજેકટ અંતર્ગત ભરૂચ અને તાપી જીલ્લાના ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે હવામાન આધારિત કૃષિ સલાહ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સલાહનું બુલેટિન ખેડૂતોને એમકિશાન, આઈએમડી ની વેબસાઇટ, વોટસેપ અને મેધદૂત એપ દ્વારા પહોચાડવામાં આવે છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડો.વી.આર.નાયક, સહ સંશોધન નિયામકશ્રી એ હવામાન ની વિષમ પરિસ્થિતીમાં રોગ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરવું, જંતુનાશકો નો સપ્રમાણ ઉપયોગ, ખાતર અને પાણીનો કાયક્ષમ ઉપયોગ, છાણીયા અને જૈવિક ખાતરનો વધુ ઉપયોગ અને કુદરતી સંસાધનોનું સરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

તદઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક ડો. કે.વી. વાડોદરિયા, ડો.એમ. સી. પટેલ, પ્રો. મહેન્દ્રભાઈ પટેલ, પ્રો. એમ. એલ. પટેલ, ડો. ડી. આર. પટેલ, ડો. કે.બી. સાંકટ, ડો. વેદ પ્રકાશ, ડો.આર. આર. પટેલ, ડો. હરીનંદન. સોડવડિયા હાજર રહી ખેડૂતોને કપાસ અને તુવેર પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપી હતી અને ખેડૂતોને મુંજવતા પ્રશ્નોનો નું નિરાકરણ આપવામાં આવ્યું હતું. તેમજ દરેક પાકોમાં થતાં વાતાવરણની અસરો અંગેની માહિતી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપ્યું હતું. આ તબક્કે પ્રોજેકટના નોડલ ઓફિસર, ડો. કે.વી. વાડોદરિયા અને રિસર્ચ એસોસિએટ, ડો. હરીનંદન. સોડવડિયા, હવામાન નિરીક્ષક, શ્રી ડી. પી. કમાણી એ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી અને કામગીરી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. અને ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહનો ઉપયોગ કરીને વિષમ પરિસ્થિતીમાં પાકને કઈ રીતે બચાવી શકાય, પાક ઉત્પાદન કેવી રીતે વધારવું, પાકનું આયોજન કઈ રીતે કરવું તેના વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.