1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. મોદી સરકારની બીજી ટર્મનું આ છેલ્લું બજેટ બનશે. એટલા માટે આવનારા બજેટ પર લોકોને ઘણી અપેક્ષા છે. આ વખતે બજેટ રજુ થતી પહેલા હલવા સેરેમની મનાવવામાં આવશે, કોરોનાને કારણે આ વિધી પહેલા ટાળવામાં આવી હતી. પરતું હવે આ હલવા સેરેમની મનાવવામાં આવશે.
આવતીકાલે એટલે કે 26 તારીખે ગુરુવારે બજેટ તૈયાર કરતા પહેલા ‘હલવા સેરેમની’ ઉજવવામાં આવશે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી હલવા સેરેમનીનો આ કાર્યક્રમ બજેટ પહેલા રદ્દ કરવામાં આવ્યો હતો. આ સમારોહ કેન્દ્રીય બજેટની તૈયારીના છેલ્લા તબક્કાને ચિહ્નિત કરે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પરંપરાગત રીતે એક કઢાઇમાં હલવો બનાવીને તેની શરૂઆત કરે છે અને પછી દિલ્હીમાં મંત્રાલયના મુખ્યાલયમાં તેના સાથીદારોને પીરસે છે.
નાણામંત્રી સહિતના મોટા અધિકારીઓ સામેલ છે
હલવા સેરેમની હંમેશા બજેટની તૈયારી પૂર્ણ થયા પછી યોજવામાં આવે છે. આ કારણોસર, હલવા સેરેમનીને બજેટ પૂર્ણ થવાનું સૂચક પણ માનવામાં આવે છે. તેમાં નાણામંત્રીની સાથે નાણા મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બજેટ સંબંધિત માહિતી લીક ન થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત 100 કર્મચારીઓ નાણા મંત્રાલયના પરિસરમાં રહે છે અને નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કર્યા પછી જ રજા આપે છે.

હલવા સેરેમની શા માટે ઉજવવામાં આવે છે?
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠાઈ ખાવાથી થાય છે. આ કારણોસર, તે બજેટનું કામ પૂર્ણ થવા પર ઉજવવામાં આવે છે. જેના કારણે મંત્રાલયના કર્મચારીઓની મહેનતને ટેકો મળ્યો છે.
હલવા સેરેમની ક્યાં ઉજવાય છે?
નાણા મંત્રાલયના 10 નોર્થ બ્લોક સ્થિત પરિસરમાં હલવા સેરેમની ઉજવવામાં આવે છે. હલવા સેરેમની પછી, બજેટ છાપનાર કર્મચારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી પરિસરમાં જ રહે છે.
બજેટ રજૂઆત
સંસદમાં બજેટની રજૂઆત એ બજેટ બનાવવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. નાણામંત્રી બજેટ સત્રના પહેલા દિવસે પ્રેઝન્ટેશન આપે છે. મંત્રી દસ્તાવેજના મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપે છે અને પ્રસ્તુતિ દરમિયાન દરખાસ્તો પાછળની વિચારસરણી સમજાવે છે. રજૂઆત બાદ બજેટને સંસદના બંને ગૃહો સમક્ષ ચર્ચા માટે મૂકવામાં આવે છે. બંને ગૃહોની મંજૂરી બાદ બજેટને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે.




