Published By : Disha PJB
હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયા કિનારાએ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ કડક સૂચના આપવામાં આવી છે.
15 જૂનના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા જોડે ટકરાવાની આગાહી હવામાન વિભાગે સ્પષ્ટપણે કરી છે. જેની આગોતરી તૈયારીઓના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ખડે પગે રાખવામાં આવી છે.
આવી પરિસ્થિતિ હોવા છતાં ડુમ્મસમાં માછીમારોની બેદરકારીનો વિડિઓ વાઈરલ થયો છે. માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. છતાં ડુમ્મસ દરિયા કિનારે માછીમારો માછલી પકડતા દેખાયા.
વીડિયોમાં જોઈ શકાય છે કે મધદરિયે એક માછીમાર કોઈપણ જાતની સલામતી વગર માછલી પકડી રહ્યો છે. અને દરિયાનું પાણી તેને ગળે સુધી ઉછળી રહ્યું છે. હવે, સરકારના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ તંત્ર તેની સામે શું કડક પગલાં લેશે તે જોવું રહ્યું !
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.