Home Bharuch ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો CMને પત્ર : રાજકીય મોટા માથાઓ જ ગેરકાયદેસર...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો CMને પત્ર : રાજકીય મોટા માથાઓ જ ગેરકાયદેસર રેતી ખનન કરી નર્મદાનું કરી રહ્યા છે નિકંદન

0

Published by : Rana Kajal

  • સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીમાં ગેરકાયદેસર થતું રેતખનન અટકાવવા મુખ્યમંત્રીને રજુઆત કરી
  • વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં બેફામ રેતી ખનનમાં રાજકારણીઓના જ હાથ
  • નિયમ વિરુધ્ધ રેતખનન કરતા રેત માફિયાઓ પ્રત્યે સાંસદે લાલ આંખ કરતા રેત માફિયાઓમાં ફફડાટ

ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાના પટમાં છેલ્લા કેટલા વર્ષોથી આડેઘડ નીતિ નિયમો નેવે મૂકી નર્મદાના પ્રવાહમાં વહેતા પાણીમાં પણ ગેરકાયદેસર પુલીયા બનાવી પાણી સાથે રેતી ઉલેચાઈ રહી છે.

પાણી નિતરતી તથા ઓવલોડ રેતીનું વહન થઇ રહ્યું છે, રોયલ્ટી ચોરી થઇ રહી છે ઉપરાંત નદી કિનારાના ગામડાઓમાં પરવાનગી વગર રેતીના ઢગલાના સ્ટોક કરવામાં આવી રહ્યા છે, જેના પગલે નર્મદા નદીના પ્રવાહ સહિત પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ઉપરાંત નર્મદા નદી કિનારેથી મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગામડાઓના રસ્તા પણ ઓવરલોડ રેતી વહનના કારણે બિસ્માર બન્યા છે, છતાં પણ વહીવટી તંત્રની રેતી માફીયા સાથેની મિલિભગતના કારણે કોઈ સંવેદનશીલ પગલા તંત્ર દ્વારા ભરવામાં આવતા નથી જે જગ જાહેર વાત છે.

આ બાબતે સાસંદ મનસુખભાઇ વસાવા સિવાય કોઈ રજુઆત કરતુ નથી કેમકે આ રેતી ખનન વહન ની કાયદેસરની ગેરકાયદેસર કામગીરીમાં લાગતા વળગતા વિભાગ ના અધિકારીઓ, નેતોઓ ભાગ ભજવી રહયા છે. આ બાબતે ફરી ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નર્મદા નદીમાં થતાં રેતખનનના મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને નર્મદામાં થતું ગેરકાયદેસર રેતખનન અટકાવવા માંગ કરી હતી.

સાંસદે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવાયું હતું કે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં નર્મદાના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવાનું કામ જોરશોરથી ચાલે છે. નારેશ્વર નજીક લિલોડ ગામ તેમજ ઓઝ ગામથી સામે કાંઠે સુધી નદીમાં ગેરકાયદેસર મોટા પાળા બનાવ્યા છે, જેના કારણે નદીનો પ્રવાહ રોકાય છે. નદીના પટમાંથી ૫ મીટરની ઉંડાઈથી રેતી કાઢવાની મંજુરી સરકારમાંથી આપવામાં આવે છે.

રેત માફિયાઓ ૨૫ થી ૩૦ મીટરની ઉંડાઈથી રેતી કાઢે છે.રાતના ‍૧૧ થી ૧૨ વાગ્યા સુધી રેતીની ટ્રકો ચાલે છે.મોટાભાગની ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેત માફિયાઓ રોયલ્ટીની ચોરી કરે છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું હતુ કે મોટાભાગના આ રાજકીય મોટા માથાઓ આ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરે છે. આ બાબતે ઉંડી તપાસ કરીને ગેરકાયદેસર થતું રેતખનન અટકાવવા સાંસદે માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નર્મદા – વડોદરા જિલ્લા સહિત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતખનન થતું હોવાની વ્યાપક લોક બુમો ઉઠવા પામી છે. ત્યારે સાંસદે નિયમોનો ભંગ કરીને રેતી ઉલેચતા રેત માફિયાઓ પ્રત્યે લાલ આંખ કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version