Published by : Rana Kajal
ઉત્તરાયણ પર્વ ભલે 14 જાન્યુઆરીએ ઉજવાતો હોય પરંતુ આ વખતે દાન-પુણ્યનું મહત્વ 15 મી જાન્યુઆરીના રોજ છે કારણ કે સૂર્ય શનિવારે રાત્રે 8.46 કલાકે મકર રાશિમાં પ્રવેશ્યો છે અને આજે સૂર્યદયથી સૂર્યાસ્ત સુધી પૂર્ણકાળનો સમય છે. તેથી લોકોએ મકરસંક્રાતિનું દાન-પુણ્ય આજે કર્યું હતુ.
ઉત્તરાયણ તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ એટલે દાન પુણ્યનો મહિમા… આજે દાનપુણ્યના ધાર્મિકા કાર્યો સાથે અને લોકો દ્વારા ધાબા ઉપરથી આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. સૂર્ય દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકરસંક્રાંતિ કહેવાય છે. જે દિવસે ધાર્મિક ભાવનાથી લોકો પુણ્ય કમાવવા દાનપુણ્ય કરતા હોય છે.
આજે મકરસંક્રાંતિ પર્વ નિમિતે સ્થાનિક ભરૂચના નગરજનો દાનપુણ્ય કરતા નજરે પડ્યા હતા. રસ્તામાં લોકોએ ગૌમાતાને લીલોચારો અને ઘુઘરી ખવડાવી હતી અને દાનપુણ્ય કર્યાની લાગણી અનુભવી હતી. આજે ભરૂચના મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો દાનપુણ્ય કરવા એકત્રિત થયા હતા અને લોકોની અવરજવર વધી હતી. આજે ઉત્તરાયણ પર્વ નિમિતે ગરીબ લોકોને બોર, તલની અને સીંગની ચીકી, પતંગો, રોકડરકમ, પતંગનીદોરીનું મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને દાન કર્યું હતું. તેમને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી.