Published by: Rana kajal
- શહેરમાં ભારત માતાના જયઘોષ સાથે 3000 થી વધુ તરુણ અને બાળ ત્રણ રૂટ ઉપર સ્વંયસેવકોનું શિષ્ટબદ્ધ પથ સંચલન
- RSS ના શતાબ્દી વર્ષ સુધી આગામી બે વર્ષમાં પ્રત્યેક પરિવારમાં સંઘ, સમાજ, સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધનને લઈ જવાની નેમ
- ભારત માતાને વૈભવ શિખર ઉપર લઈ જવા અને હિન્દૂ ભારતીય સંસ્કૃતિના આદર્શોને ઘર ઘર સુધી પોહચાડવા દુધધારા ડેરી ખાતે સમાપન સમારોહમાં નેમ
હાથમાં ધ્વજ, દંડ, બ્યુગલ, બેન્ડ અને લાઠી સાથે ભરૂચ શહેરમાં જિલ્લા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ત્રણ રૂટ ઉપર 3000 જેટલા સ્વંયસેવકો દ્વારા શિષ્ટબદ્ધ નીકળેલા વિજય સંકલ્પ પથ સંચલનને માં ભોમના જયઘોષ સાથે પુષ્પવર્ષા કરી વધાવી લેવાયો હતો.
ભરૂચ જિલ્લા RSS દ્વારા આગામી સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી, ભારત માતાને વિશ્વમાં પરમ વૈભવના ઉન્નત શીખરે પુનઃસ્થાન અપાવવા. હિન્દૂ સમાજને સંગઠિત કરી તેઓમાં સામાજિક સમરસતા સાથે સંયુક્ત કુટુંબની ભાવના ફરી ચરિતાર્થ કરવા રવિવારે સાંજે વિજય સંકલ્પ પથ સંચલન અને સમાપજ સમારોહ આયોજિત કરાયો હતો.

હિન્દુ સમાજની સંગઠિત અને વિજયશાલીની શકિતના આધાર પર ધર્મનું રક્ષણ કરીને ભારત માતા પુનઃપરમ વૈભવ પ્રાપ્ત કરે એ અધિષ્ઠાન સાથે 1925 થી અવિરત ચાલતી કાર્યપધ્ધતિ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.
સંધએ પોતાની કોઇ અલગ વિચારસરણી મૂકવા નથી માંગતો. આ દેશમાં જીવન મૂલ્યો , આદર્શોની અછત નથી. વર્તમાન સમયની માંગ આ જીવન મૂલ્યોને આચરણમાં લાવવાની છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ છેલ્લા 98 વર્ષથી વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠન માટે કાર્યરત છે. આ ઇશ્વરીય કાર્ય ભારતવર્ષના પ્રત્યેક ગામ તેમજ શહેરની પ્રત્યેક વસ્તી સુધી પહોંચે તેવા શુભ તથા વિજય સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા વિજય સંકલ્પ પથસંચલન કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સંઘના આગેવાનોએ સમાપન સમારોહમાં પ્રકાશ પાડ્યો હતો.

દુધધારા ડેરી ખાતે સમાપન સમારોહના અતિથિ કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના નીલાબેન મોદીએ સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને ફરી ઉજાગર કરવામાં આવે અને દરેક કુટુંબમાંથી બાળ સંઘ સાથે જોડાઈ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. સમારોહના મુખ્ય વક્તા સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઇ મહેતાએ સંઘની સ્થાપનાનો હેતુ, હિન્દૂ સમાજમાં સામાજિક સમરસતા થકી સમાજનું ઉત્થાન કરવા આહવાન કર્યું હતું.
સંઘના કાર્યક્રમમાં સંઘના બળદેવભાઈ પ્રજપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર, ખુમાનસિંહ વાસીયા, સાધુ, સંતો, મહંતો, સંઘ સંચાલકો સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.




