Published By : Patel Shital
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની વાર્ષિક સાધારણ સભાનું જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત બીજી ટર્મ માટે સંસ્થાના પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય, અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની આજરોજ વાર્ષિક સાધારણ સભાનો દીપ પ્રાગ્ટ્ય થકી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના એડ્વાઇઝરી કમિટીના પ્રમુખ સાગરમલ પારિકે શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું તો વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્ર ટેલર દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરાવવામાં આવ્યું હતું.
પાછલા વર્ષની કામગીરીનો અહેવાલ ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો વાર્ષિક આર્થિક અહેવાલ દિપક દવે દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાના નવા પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે નરેશ ઠક્કરના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌએ સહર્ષ સ્વીકારી હતી. નવા પ્રમુખ નરેશ ઠક્કર દ્વારા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મહામંત્રી તરીકે કે.આર.જોશી, ખજાનચી તરીકે કનુભાઈ ભરવાડ, મહિલા સંયોજિકા તરીકે રૂપલ જોશી, સહ સંયોજિકા તરીકે ડો. ખુશ્બુ પંડ્યાની વરણી કરવામાં આવી હતી
નવા વરાયેલા પ્રમુખ નરેશ ઠક્કરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે સતત બીજી ટર્મ માટે પ્રમુખ બનાવવા બદલ સૌ કોઈનો આભાર. ભારત વિકાસ પરિષદના સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણને સાર્થક કરીને જરૂરિયાતમંદોની સેવા કરવાની છે.
ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રસાર સંયોજક યોગેશ પારિકની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જીગર દવે દ્વારા કરવામાં આવ્યું હતું.