- અમે મહારાષ્ટ્રના મહાપુરૂષોનું અપમાન ક્યારેય સહન નહીં કરીએઃ ઉદ્ધવ ઠાકરે
- તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથ આવ્યા છે
દેશમાં એક તરફ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનને લઈને હલ્લાબોલ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાપુરૂષોના અપમાનને લઈને શિંદે સરકાર અને રાજ્યપાલ સામે મહાવિકાસ અઘાડીએ હલ્લાબોલ શરૂ કર્યો છે. આ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા એનસીપીના અજીત પવાર પણ સામેલ થયાં છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર નિવેદન આપતાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે મહાવિકાસ અઘાડીના સેંકડો કાર્યકર્તાઓ રોડ પર ઉતરી ગયાં છે.
સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો
મહારાષ્ટ્રમાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષના મોટા નેતાઓનું કહેવું છે કે શિવાજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફુલે જેવી હસ્તીઓના અપમાન, કર્ણાટકની સીમા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મરાઠીઓ સાથે અત્યાચાર અને ઔદ્યોગિક પરિયોજનાઓમાં મહારાષ્ટ્રને બહાર રાખવા વિરૂદ્ધ મુંબઈમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો છે. આ રેલી જ જણાવે છે કે તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથે આવ્યા છે.
રાજ્યપાલ કોશિયારીએ શિવાજીને જુના જમાનાના આઈકોન કહ્યા હતાં
મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શિવાજી મહારાજને 19 નવેમ્બરે ઓરંગાબાદમાં એક કાર્યક્રમમાં શિવાજી મહારાજને જુના જમાનાના આઈકોન કહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ હાજર હતાં. તેમણે સભામાં બાબાસાહેબ આંબેડકર અને નીતિન ગડકરીને આધુનિક યુગના આઈકોન કહ્યાં હતાં.




