રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરિયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.
ફરિયાદ પછી અંબાણી પરિવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.

મુકેશ અંબાણીને મળી છે Z+ સિક્યોરિટી
મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી એ સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપી હતી. તેમની પત્ની નીતા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યોરિટી આપી છે. તેમનાં બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.