Published By : Disha PJB
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં રૂ. ૨૯૩ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, સરકારી યોજનાઓના કેન્દ્રમાં વંચિતો અને ગરીબો રહેલા છે. નરેન્દ્રભાઇ મોદીએ તેમના વડાપ્રધાન પદના નવ વર્ષના કાર્યકાળમાં સુશાસનના અર્થને સાર્થક કરી બતાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેરના નાગરિકોની સુવિધા તથા સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે રૂ. ૨૪૩ કરોડના ૧૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૫૦ કરોડના ૬ વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા. ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં કાંસ, પંપ હાઉસ, ડ્રેનેજ નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના આવાસો, વરસાદી ગટરનું કામ, પાણીની નળીકાનું કામ, રસ્તાના રીસર્ફેસીંગના કામ સહિતના વિકાસના વિવિધ કામોનો સમાવેશ થાય છે. જ્યારે લોકાર્પિત થયેલા વિકાસકાર્યોમાં કિશનવાડી ખાતે નવીન અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ ઉપરાંત શહેરના નાગરિકો સંબંધિત ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના કામ, હરણી તેમજ દરજીપુરા વિસ્તારમાં પાણી વિતરણ નળિકાના નેટવર્કનું લોકાર્પણ (ફેઝ-૧), વેમાલી ખાતે ૧૩ એમ. એલ. ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સુશેન સર્કલથી જાંબુઆ ટાંકી સુધી એમ. એસ. ફીડર લાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે.
ઉક્ત બાબતમાં મુખ્યમંત્રીએ એમ કહ્યું કે, નાગરિકોને બહેતર આરોગ્ય સુવિધાઓ મળે એ માટે હવે તાલુકા મથકોએ પણ ડાયાલિસીસની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં તબીબી શિક્ષણનો પણ વ્યાપ વધારવામાં આવ્યો છે. ગુજરાતમાં એક સમયે મેડિકલની માત્ર ૧૨૭૫ બેઠકો હતી, તેની સામે આજે ૭૫ મેડિકલ કોલેજોમાં ૬૯૫૦ જેટલી બેઠકો થઇ છે. જેનાથી ગુજરાતમાં તબીબી સેવામાં માનવ સંસાધનનું સંખ્યા બળ વધી રહ્યું છે.
મેયર નિલેશભાઈ રાઠોડે મહાનુભાવો સહિત સૌનું સ્વાગત કરતા લોકાર્પિત અને ખાતમુહૂર્ત થનારા વિકાસના વિવિધ પ્રકલ્પોની જાણકારી આપી. વડોદરા શહેર અને આઉટગ્રોથ વિસ્તારમાં થતા ચોતરફ વિકાસ થકી વડોદરાના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત વડોદરાના તમામ નાગરિકોને સ્પર્શે તેવા વિકાસકાર્યોનો વડોદરા શહેરને ખૂબ ફાયદો થશે તેવું જણાવી તેમણે જનસુખાકારી માટે સરકારશ્રી અને વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની સતત ચિંતા કરતા હોવાનું જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડા સામે ‘ઝીરો કેઝ્યુલિટી’ના સંકલ્પ સાથે સરકાર અને સરકારી તંત્રની સજ્જતા અને સતર્કતા બદલ તેમણે અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરાના પ્રવાસના પ્રારંભે મુખ્યમંત્રીએ સયાજી હોસ્પિટલમાં રૂ. ૯.૩૭ કરોડની કિંમતના અદ્યતન એમ. આર. આઇ. મશીનનું લોકાર્પણ કર્યું. આ મશીન દ્વારા અકસ્માત અથવા અન્ય રોગમાં એમઆરઆઇની જરૂર વાળા દર્દીઓને બહાર કરતા એકદમ નહીવત્ દરે રિપોર્ટ કાઢી આપવામાં આવશે. અદ્યતન મશીનમાં માથાથી લઈ પગના અંગૂઠા સુધીનું એમઆરઆઇ થશે.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, ચૈતન્યભાઈ દેસાઈ, શૈલેષભાઈ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, અગ્રણી ગોરધનભાઇ ઝડફિયા, ડો. વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે સહિતના અગ્રણીઓ- પદાધિકારીઓ, મનપા કમિશનર દિલીપ રાણા, ઉચ્ચ અધિકારીઓ, આયુષ્માન યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.