Published By : Disha PJB
રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં એક મોટી સ્પષ્ટતા સેશન્સ કોર્ટ તરફથી કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. બે વર્ષની સજા યથાવત રહેશે. જેના કારણે હવે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ રહેશે.
કોર્ટમાં બન્ને પક્ષ વચ્ચે દલીલ ચાલી હતી. ગુરૂવારનો દિવસ નિર્ણય માટે નક્કી કરાયો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ એક લાઈનમાં જ ગુરૂવારે સ્પષ્ટતા કરી કે, અરજી ફગાવી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવવા પર કોર્ટે મનાઈ કરી દીધી છે. સેશન્સ કોર્ટનો ચૂકાદો આવ્યો એ સમયે રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. રાહુલ ગાંધી પણ આ કેસમાં હાજર રહ્યા ન હતા. આ પહેલા કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળી જતા આંશિક રાહત મળી હતી.
માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાંથી સજા પર સ્ટે ન મળતા રાહુલ ગાંધીના વકીલ હાઈકોર્ટ જશે. જ્યાં અરજી કરવામાં આવશે. અરજીને લઈને હાઈકોર્ટમાં ક્યારે પ્રક્રિયા કરાશે એને લઈને રાહુલ ગાંધીના વકીલ વિચારણા કરી રહ્યા છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો.
મોદી મોઢવણિક સમાજના નથી. રાહુલ ગાંધી તરફથી સુરતના સેશન્સ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આર.એસ.ચીના દ્વારા દલીલો કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે. તે સમાજને લઈને નથી આપ્યું. લલિત મોદી કે નીરવ મોદી આ તમામ મોઢવણિક સમાજમાં હોય તેવું કોઈ પુરાવો પણ નથી. ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે ચેડા કરાયા છે. રાહુલ ગાંધીએ જે પણ સ્પીચ આપી છે તેનું વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે.