Published by: Rana kajal
હિન્દુઓના પવિત્ર અને વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ એવા કેદારનાથ અને બદ્રીનાથ મંદિર સંકુલમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામા આવે તેવી સંભાવના જણાઈ રહી છે…
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા આગામી એપ્રિલ માસથી શરૂ થવાની છે તે પૂર્વે મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ મૂકવાની ગંભીરતા પૂર્વક વિચારણા શરૂ કરવામાં આવી છે. નોંધવુ રહ્યું કે ગત વર્ષે ઘણા યુ-ટયુબર અને બ્લોગરને કારણે કેટલીક મુશ્કેલીઓ થઇ હતી જેને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મંદિરની અંદર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના પૂજારી કે કર્મચારી શ્રધ્ધાળુઓ પાસેથી સીધી દાન-દક્ષિણા ન લઇ શકે તે માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
દાનના સ્વરૂપમાં આવનારા નાણાંની ગણતરી પારદર્શી રહે તે માટે શ્રેણીબધ્ધ પગલા, વિચારણા હેઠળ છે. સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ જ સરકારી અધિકારીની હાજરીમાં દાનના નાણાંની ગણતરી કરવાની તૈયારી છે. આ ઉપરાંત મંદિરના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે અલગ ડ્રેસ પણ નકકી કરવામાં આવે તેવી શકયતા છે. તિરૂપતિ બાલાજી, વૈશ્નવ દેવી, ઉજજૈન મહાકાલ તથા સોમનાથ મંદિરના વહીવટી નિર્ણયોનો બદ્રીનાથ-કેદારનાથ વહીવટી સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે તેમજ તેના દ્વારા સમિતિને અનેક ભલામણો કરવામાં આવી છે. આ અંગે મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ચર્ચા-વિચારણા કરાયા બાદ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.