રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર અનુપગઢ સેક્ટરમાં પાક રેન્જ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. BSFએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. BSFના પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય પક્ષના સૈનિકો અથવા ખેડૂતોને કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી અને પાકિસ્તાની સમકક્ષ સાથે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે આ માટે આજે ફ્લેગ મીટિંગની માંગ કરી છે. ‘કિસાન ગાર્ડ’ હેઠળ, બીએસએફના જવાનોને તેમના ખેતરોમાં કામ કરતા ખેડૂતોની સુરક્ષા માટે સરહદની વાડની સામે તૈનાત કરવામાં આવ્યા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ પાક રેન્જર્સે જવાનોને નિશાન બનાવીને 6થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આના જવાબમાં BSFએ પાક રેન્જર્સ પર ઓછામાં ઓછા 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદે ગોળીબારની ઘટનાઓ બહુ ઓછી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, આ ક્ષેત્રમાં સંપૂર્ણ યુદ્ધવિરામ પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. ત્યાર બાદ ફાયરિંગની આ બીજી ઘટના છે, જમ્મુના અરનિયા સેક્ટરમાં સપ્ટેમ્બરમાં પહેલી ઘટનામાં પાક રેન્જર્સે ગોળીબાર કર્યો હતો. BSF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન રેન્જર્સે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના અનુપગઢ સેક્ટરમાં બપોરે 2 વાગ્યે BSF જવાનો પર પહેલા 6-7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે સમયે ગોળીબાર થયો તે સમયે BSFના જવાન પાંચ સ્થાનિક ખેડૂતો અને સીમા સુરક્ષા બંદોબસ્તની રક્ષા માટે હાજર હતા. તેમનો ઉદ્દેશ્ય ખેતરોમાં કામ કરતા પાંચ સ્થાનિક ખેડૂતોને બચાવવાનો હતો. તેની જવાબી કાર્યવાહીમાં BSF ‘કિસાન ગાર્ડ’એ પાક રેન્જર્સ પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.