Published by : Anu Shukla
- રાજ્યમાં હજુ ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે
- રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન
- નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશેઃ ઋષિકેશ પટેલ
આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી છે. તેમણે જંત્રીને લઈને જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.
જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરાશેઃ ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે.
રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. તેમજ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવામાં આવ્યો છે.