- મલાતજ બેંકના મેનેજર-પટાવાળાની ઠગાઇનો આંક રૂ 1.61 કરોડે પહોંચ્યો….
રાષ્ટ્રિયકૃત બેંકના મેનજર અને પટાવાળાએ ભેગા મળીને રૂ 1કરોડ કરતા વધુની છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સપાટી પર આવ્યો છે..
આ છેતરપીંડીના બનાવ અંગે વિગતે જોતાં સોજીત્રાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના શાખા મેનેજર અને પટાવાળાએ ભેગા મળી આચરેલા કૌભાંડનો આંક રૂ. 1.61 કરોડે પહોંચ્યો છે. તા16-11-2022ના રોજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા મલાતજ શાખાના સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી (રહે.મલાતજ ટાવર ખડકી)એ સેન્ટ્રલ બેંક ઓફ મલાતજના શાખા મેનેજર પ્રવિણકુમાર છબીલદાસ ઠક્કર અને પટાવાળા ભરતભાઈ સવાભાઈ રબારીએ તેઓના ખાતામાંથી રૂા. 50 લાખની ખોટી એફડી બનાવવા બાબતે સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તેથી સેન્ટ્રલ બેન્કના શાખા મેનેજર પ્રવિણકુમાર છબીલદાસ ઠક્કર અને પટાવાળા ભરતભાઈ સવાભાઈ રબારી દ્વારા અન્ય કોઈ ખાતેદારોના ખાતામાંથી નાણાંકીય ઉચાપત કરવામાં આવી છે કે કેમ. તે અંગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા મલાજત શાખાનુ ઓડીટ કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય ખાતેદારો સાથે પણ છેતરપિંડી ઉપરાંત બંન્નેએ ઇલેક્ટ્રિકબીલના તેમજ પ્રોફેશનલ ટેક્સના મળી કુલ રૂ 1,61,20,022ની છેતરપિંડી કરી હતી.
આ બનાવ અંગે મૂળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતમાં રીજીયોનલ હેડ તરીકે ગાંધીનગર ફરજ બજાવતા આશિષ લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવે સોજીત્રા પોલીસ મથકમાં મલાતજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર પ્રવિણભાઈ ઠક્કર અને પટાવાળા ભરતભાઈ સવાભાઈ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મલાતજ શાખા મેનેજર પ્રવિણકુમાર છબીલદાસ ઠક્કર (રહે. સહજાનંદ સ્ટેટસ કરમસદ) અને પટાવાળા ભરત રબારી(રહે. મલાતજ) ભેગા મળીને ચેકમાં ખોટી સહીઓ કરી ખાતેદારોની એફડી ઉપર ડિમાન્ડ લોન લઈ ખાતેદારોના એફડીના ખોટા પ્રમાણપત્રોને સાચા હોવાનું જણાવીને રકમ ઉપાડી લેતા હતા. હજી આ બનાવ અંગેની તપાસ ચાલી રહી છે.




