Published By:- Bhavika Sasiya
- આર્થિક તંગીને કારણે પગલું ભર્યું.
- પતિ સાથે છૂટાછેડા બાદ દીકરીઓ સાથે એકલી રહેતી હતી માતા..
માતાએ પુત્રીઓને મોતના ઘાટે ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા કારેલીબાગ વિસ્તારમાં ચકચાર, માતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારેલીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા અક્ષતા સોસાયટીમાં ભાડે રહેતા માતા દક્ષા ચૌહાણએ તેની બંને પુત્રી હની અને સુહાનીને ઝેર આપ્યું હતું. જોકે તેની કોઈ અસર ન થતા ગળું દબાવીને તેમની હત્યા કરી હતી. જે બાદ પોતે જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા પાડોશીને આ અંગેની જાણ થઈ હતી. પાડોશીએ તાત્કાલિક માતા દક્ષા ચૌહાણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
કારેલીબાગ પોલીસ સ્ટાફ સાથે જ વિસ્તારના નાયબ પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર બનાવો અંગેની વિગતો નાયબ પોલીસ ઝોન ફોર પન્ના મોમાયા એ મીડિયા સમક્ષ વિગતો આપી હતી. તો બીજી બાજુ પુત્રીના મિત્રએ મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે તે જણાવતી હતી કે બે દિવસથી તેને ખાવામાં સ્વાદ નથી આવી રહ્યો ત્યારે મેં તેને સમજાવ્યું હતું કે કોઈ માતા આ પ્રકારનું કૃત્ય ન કરે ત્યારે આજે તે નથી રહી. એમ કહેતા મિત્ર રડી પડ્યો હતો તો બીજી બાજુ પરિવારજને રાતે મિસકોલ આવ્યા બાદ, ‘મારી વાત થઈ હતી,’ તેમ જણાવી વિગતો મીડિયા સમક્ષ આપી હતી.