Published By : Parul Patel
પ્રમાણસરનુ મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એટલુ જ નહી પરંતું આરોગ્ય માટે પણ ગુણકારી છે. પરંતું વધુ પડતુ મીઠું ખાવાથી આરોગ્યના પ્રશ્નો ઉપસ્થિત કરે છે. કેટલીકવાર મોત નું પણ કારણ બને છે…
મીઠું આરોગવા અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક રિપોર્ટમા જાહેર કરવામાં આવ્યું છે. જેમા જણાવ્યા અનુસાર વધુ મીઠું ખાવાથી માનવીનું શરીર રોગોનું ઘર બની જાય છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી વધુ મોત વધુ મીઠું ખાવાથી જ થાય છે. જો આમ જ ચાલતુ રહ્યુ તો વર્ષ 2030 સુધીમાં સમગ્ર વિશ્વમાં 70 લાખ લોકોના મોત માત્ર વધુ મીઠું ખાવાથી થશે. આવી સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વિશ્વમાં એક લક્ષ્ય નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં 30 ટકા ઓછું મીઠું ખાવાનું અભિયાન શરૂ કરવામાં આવશે, અને તે અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
વધુ પડતું મીઠું ખાવું શરીર માટે હાનિકારક છે. 5 ગ્રામ મીઠું એટલે કે એક ચમચી મીઠું દરરોજ પૂરતું છે, પરંતુ મોટા ભાગના લોકો બમણી માત્રામાં મીઠાનું સેવન કરે છે, વધુ મીઠું ખાવાથી હાઈ બીપી અને હાર્ટ સંબંધિત બીમારીઓમાં વધારો થાય છે. આ સિવાય વધુ મીઠું ખાવાથી કિડની સંબંધિત બીમારીઓ, શરીરમાં સોજો, સ્ટ્રોક અને પેરાલિસિસ થઈ શકે છે. જૉકે અત્યંત ઓછું મીઠું ખાવાથી પણ લોકો નબળા પડી જાય છે અને અનેક બીમારીઓનો શિકાર બને છે. માનવીના શરીરને મીઠામાંથી સોડિયમ મળે છે. સોડિયમ શરીરમાં પાણીનું યોગ્ય સ્તર જાળવી રાખે છે અને ઓક્સિજન અને અન્ય પોષક તત્વોને અંગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એટલા માટે માફકસરનુ મીઠુ ભોજનમા હોવુ જરૂરી છે.