આજે તા 12 જાન્યુઆરીના રોજ વિશાખાપટ્ટનમમાં ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવે તે પહેલાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો.
આવનાર તા. 19 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને દેશને સમર્પિત કરવાના છે. ડીઆરએમના જણાવ્યા અનુસાર, આ ઘટના કાંચરપાલેમ પાસે મેન્ટેનન્સ દરમિયાન બની હતી. વંદે ભારત એક્સપ્રેસના કોચની વિન્ડશિલ્ડને નુકસાન થયું હતું. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રેલવે અધિકારી અનૂપ કુમાર સતપથીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે સાંજે 6.30 વાગ્યે બની હતી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બે વિન્ડો પેન સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને ટૂંક સમયમાં બદલવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી છે. આરપીએફ તેમના પર નજર રાખી રહ્યું છે. આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તા 19 જાન્યુઆરીના રોજ સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને આ ટ્રેનને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આ ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ દરમિયાન તે વારંગલ, ખમ્મમ, વિજયવાડા અને રાજમુન્દ્રીમાં રોકાશે એમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.