હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવીને મંત્રનો જાપ કરવો જોઇએ. ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ મંત્રના જાપથી આત્મવિશ્વાસ વધે છે, અજાણ્યો ભય દૂર થાય છે, મનને શાંતિ મળે છે અને વિચાર પોઝિટિવ બને છે.
મહામૃત્યુંજય મંત્રઃ- ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्। ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।।
આ મંત્રનો સરળ અર્થઃ– અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ. તમે અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છે. જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઇને અમૃત તરફ આગળ વધારો. પં. શર્માએ જણાવ્યું કે, મહામૃત્યુંજય મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. આ અંગે એક પ્રચલિત કથા છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં મૃગશૃંગ ઋષિ અને સુવ્રતાને કોઇ સંતાન હતું નહીં. ત્યારે તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. શિવજી પ્રકટ થયા અને તેમણે કહ્યું કે, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પરંતુ તમે તપ કર્યું છે, જેથી હું તમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપીશ. પરંતુ આ બાળક અલ્પાયુ હશે, તેનું જીવન 16 વર્ષનું જ રહેશે.

બાળક માર્કંડેયએ મહામૃત્યુંજય મંત્રની રચના કરી
થોડાં સમય પછી ઋષિના ઘરે પુત્રનો જન્મ થયો. તેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું. માતા-પિતાએ પુત્રને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અન્ય ઋષિઓના આશ્રમમાં મોકલી દીધો. આ પ્રકારે 15 વર્ષ પૂર્ણ થઇ ગયાં. જ્યારે માર્કંડેય પોતાના ઘરે આવ્યો ત્યારે માતા-પિતા દુઃખી હતાં. માતા-પિતાએ તેના અલ્પાયુ હોવાની વાત જણાવી. માર્કંડેયએ જણાવ્યું કે, તમે ચિંતા ન કરો, આવું કઇં જ થશે નહીં.
માર્કંડેયે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યાં. આ પ્રકારે એક વર્ષ વિતી ગયું. માર્કંડેયનું આયુષ્ય 16 વર્ષનું જ હતું. યમરાજ તેમની સામે પ્રકટ થયા ત્યારે બાળકે શિવલિંગને પકડી લીધું. યમરાજ તેને લઇ જવા માંગતા હતાં, ત્યારે ત્યાં શિવજી પ્રકટ થયા. શિવજીએ કહ્યું કે, હું આ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયો છું અને તેને અમરતાનું વરદાન આપું છું.
શિવજીએ માર્કંડેયને જણાવ્યું કે, હવે જે પણ ભક્ત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે, તેના બધા જ કષ્ટ દૂર થશે અને તે અસમય મૃત્યુના ભયથી પણ બચી જશે.




