ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે 2 તબક્કામાં આયોજિત લોકશાહીના પર્વ માટે લોકો પણ તૈયાર છે. એક બાજુ વિવિધા પાર્ટીઓ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. જ્યારે બીજી બાજુ નાગરિકો પણ મતદાન જાગૃતિ માટે પહેલ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે. જ્યાં સાધુ સંતોએ સાયકલ પર સવાર થઈને મતદાન જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો.
25 સાધુ સંતોની અનોખી પહેલ
ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો એ લોકશાહીની ધરોહર જળવાઈ રહે એના માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. આશરે 25 જેટલા સાધુ સંતો એ સાઇકલ પર સવાર થઈ ભવનાથ ક્ષેત્રમાં મતદાન જાગૃતિ માટે પ્રવાસીઓ અને લોકોને મળી મતદાન અવશ્ય કરે, લોકશાહીને જાળવી રાખવા મતદાન જરૂરી છે એવો સંદેશો આપ્યો હતો.
82% મતદાનનો લક્ષ્યાંક પાર પાડવા સજ્જ..
જુનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા જૂનાગઢમાં મતદાનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગત ચૂંટણીમાં જુનાગઢમાં માત્ર 63% મતદાન થયું હતું. જે આ વખતે 82% થાય તે માટે પ્રયાસો અને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્રના આ પ્રયાસમાં ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો પણ સહભાગી બની લોકોને ચૂંટણીમાં મતદાન કરવા જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.




