- મિતીયાળા ગામે લોકો રાત્રે ખુલ્લામાં સુવા મજબુર થઈ ગયા છે.
ઠંડીના આ દિવસોમા સાવરકુંડલા તાલુકાનુ મિતીયાળા ગામ હાલમા અજીબ મુસીબતમા છે. છેલ્લા એક માસ દરમિયાન ભુકંપના 50 આંચકા આવી ચુકયા છે. ગઇ કાલે પણ ચાર ભૂકંપના આંચકા આવ્યા હતા. તો પણ અહી વહિવટી તંત્ર ડોકાતુ પણ નથી અને બીજી બાજુ લોકોની ઉંઘ ઉડી ગઇ છે. સિંહ દીપડાનો વિસ્તાર હોવા છતા ભયભીત લોકો ખુલ્લામા રાતવાસો કરવા મજબૂર બની ગયા છે એક તરફ હિંસક પ્રાણી નો ભય તો બીજી બાજુ ભૂકંપનો ભય બંને પ્રકારના ભય વચ્ચે લોકોને રાત ઉજાગરા થઇ રહ્યા છે.
મિતીયાળા પંથકમા ભુતળમા અજીબ હલચલ થઇ રહી છે. જેના કારણે અહી માત્ર એક ગામમાં પુરતા ભુકંપના હળવા આંચકા વારંવાર આવી રહ્યાં છે. છેલ્લા એક મહિનામા 50થી વધુ વખત હળવો ભુકંપ અનુભવાયો છે. એટલુ જ નહી માત્ર છેલ્લા ચોવીસ કલાકમા ભુકંપના ચાર આંચકા આવ્યા હતા. જેના પગલે ગામ લોકોમા ભારે ગભરાટ ફેલાઇ ચુકયો છે. આ ભુકંપ મિતીયાળા ગામ પુરતેા જ હોય છે. કયારેક તીવ્રતા વધુ હોય તો આસપાસના બે ત્રણ ગામ સુધી તેની અસર અનુભવાય છે. સાથે સતત ભુકંપના કારણે ગામ લોકોને તેમના કાચા પાકા મકાનો ગમે ત્યારે ધસી પડશે તેવો ભય સતાવી રહ્યો છે. દિવસના સમયે તો દોડીને ઘરની બહાર નીકળી શકાય એટલે દિવસના સમયે લોકો ભય વચ્ચે પણ ઘરમા જાય છે. પરંતુ રાત્રીના સમયે તો લોકો ઘરમા રહેતા નથી. સુવાનુ પણ ખુલ્લામા જ રાખે છે.
ગામનો આ વિસ્તાર મિતીયાળા અભ્યારણ્યથી માત્ર એક કિમી દુર છે અને આ વિસ્તારમા સિંહ દીપડાનો મોટા પ્રમાણમા વસવાટ છે. જેથી રાતના સમયે સિંહ દીપડાનો ભય રહેતો હોવા છતા લોકો ઘરના આંગણામા ખુલ્લામા જ પોતાના બાળ બચ્ચા સાથે રાતવાસો કરે છે. હાલમા કડકડતી ઠંડી પડી રહી છે. તેની વચ્ચે લોકોને ખુલ્લામા સુવુ પડે છે. લોકોના ભયને દુર કરવા વહિવટી તંત્રએ યોગ્ય પ્રયાસો કરવા જોઈએ તેવી લોક માંગ ઉભી થઈ છે ગામના સરપંચ મનસુખભાઇ મોલડીયા કહે છે કે તંત્રમા અવારનવાર રજુઆતો કરી છે. 50 જેટલા ભુકંપ આવ્યા છતા તંત્રએ કોઇ તપાસ કરી નથી. આ અંગે ગામ લોકોને માર્ગદર્શન મળવુ જોઇએ. જ્યારે અહીના રહિમભાઇ રાઠોડ કહે છે ગામ લોકોમા અને ખાસ કરીને બાળકોમા ડર છે. અહીના સવિતાબેને જણાવ્યું હતુ કે ભુકંપથી ઘરમા વાસણો પડી જાય છે.
અહી ગઇકાલે એટલેકે તા 20 ડિસેમ્બરના રોજ સવારે 7:42 કલાકે પ્રથમ આંચકો આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5:55 કલાકે બીજી વખત અને સાંજે 7:05 મિનીટે ત્રીજીવાર ભુકંપનો આંચકો આવ્યો હતો. રાત્રે 8:34 કલાકે ચોથીવાર ભુકંપ આવતા ગામમા ભય પ્રસરી ગયો હતો. અહી ગામ લોકોએ જણાવ્યું હતુ કે એક મહિનામા 50થી વધુ ભુકંપના કારણે ગામના અનેક મકાનોની દિવાલોમા તિરાડ પડી ચુકી છે. અડધો અડધ ગામ લોકો પાસે કાચા મકાનો છે જે વધુ જોખમી છે. જૉકે સાવરકુંડલાના મામલતદાર પ્રદિપસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મિતીયાળામા ભુકંપના આંચકા બાબતે ગાંધીનગરથી ત્રણ દિવસમા એક ખાસ ટીમ આવશે.