- આધુનિક 3R ટેકનિકથી કચરાનો નિકાલ કરાશે..
ગુજરાતના ભક્તોના માનીતા એવા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર રાજ્યનું પ્રથમ ઝીરો વેસ્ટ સંકુલ બનવા જઈ રહ્યું છે.મહાકાલ મંદિરમાંથી નીકળતા કચરાને 3R ટેકનિકથી રિસાઇકલ કરવામાં આવશે. જેમાંથી બનાવેલ ખાતર મહાકાલ લોકના બગીચાને હરિયાળું બનાવશે. આવનાર તા15 ફેબ્રુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. હમણાં મહાકાલ લોકના ઉદ્ઘાટનથી મંદિરમાં આધુનિક સુવિધાઓ સતત વધી રહી છે. હવે મંદિર પરિસરને ઝીરો વેસ્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે મહાકાલ મંદિરના સંચાલકો એ પ્રયાસો શરૂ કર્યા છે. તેમણે નજીકની દુકાનોને નોટિસ આપીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. મંદિરમાંથી નીકળતા ભીના અને સૂકા કચરાનું રિસાયકલ કરવા અને તેમાંથી ખાતર બનાવવા માટે ટૂંક સમયમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મંદિરમાંથી નીકળતા કચરાને આ પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવશે.તેમજ 3R ટેકનિકથી ખાતર બનાવવામાં આવશે.
મહાકાલ મંદિરના એડમિનિસ્ટ્રેટર સંદીપ સોનીએ એમ જણાવ્યું હતું કે મહાકાલના પાર્કિંગ એરિયામાં ઓર્ગેનિક વેસ્ટ ટુ કોમ્પોસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેની મદદથી મંદિરમાંથી નીકળતા કચરાનો અહીં જ 3R (રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ) ટેકનિક દ્વારા ભીના અને સૂકા કચરાનો નિકાલ કરવામાં આવશે. ખાસ કરીને અન્નક્ષેત્ર અને મંદિરમાં ફૂલોના કચરામાંથી ખાતર બનાવવામાં આવશે.
હાલમાં મહાકાલ લોકના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ બાદ મંદિર પરિસરનો વિસ્તાર વધ્યો છે. અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં દરરોજ આશરે 60 હજાર લોકો દર્શન કરવા આવે છે. શનિવાર-રવિવાર અને સોમવારે 1.25 લાખ લોકો દર્શન કરવા આવે છે. ભક્તોની સંખ્યા વધવાની સાથે કચરો પણ વધુ પ્રમાણમાં નીકળશે.
મંદિર પરિસરના પાર્કિંગ વિસ્તારમાં OWC પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે.મહાકાલ મંદિરના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર મૂળચંદ જુનવાલે જણાવ્યું હતું કે મંદિરમાં દરરોજ આવતા ભક્તો દ્વારા ભગવાન મહાકાલને લગભગ 4 ક્વિન્ટલ ફૂલો અર્પણ કરવામાં આવે છે. આ સાથે મંદિર સમિતિના અન્નક્ષેત્રમાં લગભગ 5 હજાર શ્રદ્ધાળુઓ અન્નની પ્રસાદી લે છે. અહીંથી લગભગ એક ક્વિન્ટલ કચરો નીકળે છે. આ રીતે કુલ 5 ક્વિન્ટલથી વધુ કચરો નીકળે છે. આ સિવાય સુકો કચરો અલગ હોય છે.મંદિરના કચરાને અહીં પ્રોસેસ કરવામાં આવશે.
અત્યાર સુધી મંદિરમાંથી નીકળતો કચરો મહાનગરપાલિકાના પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવતો હતો. અહીંથી ખાતર બનાવવામાં આવતું હતું. સમસ્યા એ છે કે તમામ કચરો અહીં મોકલવામાં આવતો નથી હવે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના સાથે સમગ્ર કચરાને મંદિર પરિસરમાં જ નિકાલ કરી શકાશે. તેમજ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં છોડ છે. તેમને સુરક્ષિત રાખવા માટે મંદિર સમિતિ અન્ય જગ્યાએથી ખાતર ખરીદે છે, પરંતુ પ્લાન્ટ લગાવ્યા બાદ ભીના કચરામાંથી બનાવેલ ખાતર અહીં વાવેલા હજારો છોડ માટે ઉપયોગી થશે.




