Published by: Rana kajal
ભક્તોની વધતી ભીડને કારણે કિંમતમાં વધારો કરાયો… ઇ રીક્ષા શરૂ કરાશે…. કોરિડોર બન્યા બાદ 8 ગણા મુલાકાતીઓ વધ્યા…વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાની આરતી મોંઘી થઈ ગઈ છે. મંગળા આરતી માટે ભક્તોએ 150 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે હવે 350ના બદલે 500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, સપ્ત ઋષિ આરતી, શૃંગાર ભોગ આરતી અને મધ્યાહન ભોગ આરતીની ટિકિટમાં 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ આરતી માટે 180ના બદલે 300 રૂપિયા ચૂકવવા પડશે. નવા કિંમત 1લી માર્ચથી લાગુ થશે.આ તમામ નિર્ણયો હાલમા યોજાયેલ મિટિંગમાં લેવામાં આવ્યા છે.
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના બોર્ડની બેઠકમાં વિવિઘ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વર્ષ 2018 એટલે કે 5 વર્ષ પહેલા મંગળા આરતીની ટિકિટ 100 રુપિયા વધારવામાં આવી હતી. ત્યારે ટિકિટ 250 રુપિયા હતી. ટ્રસ્ટે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની સંખ્યામા થઈ રહેલા વધારાને જોતા ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.CEO સુનીલ કુમાર વર્માએ જણાવ્યું કે માત્ર આરતીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય રૂદ્રાભિષેક અને પ્રસાદમાં કોઈ વધારો થતો નથી. મંદિરનો કોરિડોર બન્યા પછી ભક્તોની સંખ્યા લગભગ 8 ગણી વધીને 8 કરોડ થઈ ગઈ છે. જ્યારે, મંદિરને વાર્ષિક 8 થી 10 કરોડનો ચઢાવો હવે 10 ગણો વધીને 105 કરોડ થઈ ગયો છે.
મંદિર મેનેજમેન્ટે જણાવ્યું કે મંગળા આરતીમાં 250 બેઠકો છે. તેનું ઓનલાઈન બુકિંગ થાય છે. આ બુકિંગ 15-20 દિવસ અગાઉથી કરવામાં આવે છે. CEO સુનીલ કુમાર વર્માએ જણાવ્યું કે વિશ્વનાથ મંદિરને આ વર્ષે એટલે કે 2022-23માં 105 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જ્યારે, આ વર્ષનું ખર્ચ બજેટ 40 કરોડ રાખવામાં આવ્યું છે. મંદિરમાં ભક્તોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બોર્ડની બેઠકમાં મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રોફેસર નાગેન્દ્ર પાંડે, વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્મા, ડી.એમ. એસ. રાજલિંગમ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટની બેઠકમાં સભ્યોએ મેદાગિન અને ગોદૌલિયાથી ઈ-રિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો છે. ભીડને કારણે અહીં વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે.




