published by : Rana kajal
- ધોરણ 10 અને 12 ના જે તે વિષયના નિષ્ણાત 16 શિક્ષકો આપશે માર્ગદર્શન
- સવારે 8 થી 10 અને સાંજે 5 થી 7 સુધી કોલ કરી મેળવી શકાશે કાઉન્સિલિંગ
આત્મનિર્ભર ભારતની તરજ ઉપર હવે ધોરણ 10 અને 12 ના બોર્ડના વિધાર્થીઓ માટે પરીક્ષાનો હાઉ, મુંઝવતા પ્રશ્નો અને સમસ્યા દૂર કરવા ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરાઇ છે.
ભરૂચ જિલ્લાના 38600 વિદ્યાર્થીઓ નિર્ભય રહીને પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આત્મ વિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત કરાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ થતી ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC પરીક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ (ડર) દૂર થાય તેના પર વિશેષ ભાર અપાઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી શકે તેમજ યોગ્ય માર્ગદર્શન મેળવી તેમની મૂંઝવણો દૂર કરી શકે તે હેતુસર કચેરી દ્વારા આત્મ વિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં આ હેલ્પલાઇન 3 માર્ચથી 29 માર્ચ સુધી કાર્યરત રહેશે. હેલ્પલાઇન સંદર્ભે સંપર્ક સમય સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે.
આત્મ વિશ્વાસ હેલ્પલાઇન બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની જુદી જુદી સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિષય નિષ્ણાંત શિક્ષકોની કાઉન્સેલર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.