Published By : Patel Shital
- ગંદકી દુર કરવા ફાળવાતા જંગી બજેટના જો માત્ર 10 કે 15 % ખર્ચાય તો પણ આવી ગંદકી ન રહે…
- સેનેટરી વિભાગ કેટલાનું રેશનપાણી અને જલસા પુરા કરે છે તે અંગે ચાલતી ચર્ચા…
- ભાઈ… પશુઓની તો હાય ના લો…
ભરૂચ નગરમાં કચરો કે કચરામાં ભરૂચ નગર… આ બાબતે હાલ લોકચર્ચા ચાલી રહી છે. લોકોની નજર જ્યાં પડે ત્યાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે. રહીશો એવુ જણાવી રહ્યાં છે કે જે જંગી બજેટ ભરૂચ નગરના કચરાને દુર કરવા માટે ફાળવવામાં આવે છે તેના 10 થી 15 % પણ યોગ્ય રીતે વાપરવામાં આવે તો ભરૂચ નગરમા ગંદકીની સમસ્યા ન રહે. જો નગરપાલિકાના કર્તાહર્તા ખાલી નગરનો એક રાઉન્ડ મારે તો પણ તમને તમામ પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય. કદાચ નગરપાલિકાનાં અધિકારી કે પદાધિકારીઓ પાસે સમય ન હોય તો આ જુઓ. વોર્ડ નબર 11નો કચરો, હજીખાના બજાર, કચરામાંથી ખોરાક શોધતા પશુઓ, બાગ પાસેનો કચરો, જ્યાં હોસ્પિટલો આવેલી છે તે ફલશ્રુતિ નગર અને સોસાયટી વિસ્તાર, બેંક ઑફ બરોડા તેમજ કતોપોર ઢોળાવ વિસ્તાર. હવે તો કયાં કચરો છે તેના કરતા ક્યાં કચરો નથી તે શોધવું અઘરૂ છે. શું આ છે માય લિવેબલ ભરૂચ… સામાન્ય સભામાં વાતોના વડા કરવાથી કંઈ નહી થાય. કેટલેક અંશે ભ્રષ્ટાચાર બધે હોય. પણ આતો આખું કોઢું જ ખાઈ લેવાનું અને ઓડકાર પણ નહીં ખાવાનો, થોડા ઘણા અંશે બધુ ચાલે પણ ભરૂચ નગરના રહીશોનું તો વિચારો…




