Published By : Parul Patel
- ✍️ ભરૂચમાં રેવાની રેલના વિનાશ પછી થાળે પડી રહેલું જનજીવન: પ્રજાના માનસ પટ પરથી દ્રશ્યો, દર્દ મિટતા દાયકો લાગશે ??!
- ✍️હૃદયદ્રાવક અને ના ભૂલી શકાય એવા ઘાવોને ભરવા સેવાનો, માણસાઈનો મહાસાગર છલકયો…
- ✍️અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ, NGOએ હજારો અસરગ્રસ્ત પીડિતોના, કણસતા લોકોના આંસુ લૂછયાં, તો સરકાર પણ સફાળી જાગી…
ભરૂચ જિલ્લા અને આસપાસના રેવાના 16-17 સપ્ટેમ્બરના આકસ્મિક પુરથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે તબાહી મચી, એ દ્રશ્યો વિઝ્યુઅલ મીડિયાએ ગણત્રીના કલાકોમાં જ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આખા દેશ, દુનિયામાં વહેતા કરતાં એક સમયે ભારે ઉહાપોહ અને તબાહીનો હાહાકાર મચ્યો…ભૂલ જેમની પણ હોય, બરબાદીના પરિણામોની ભયાનકતા અને તંત્રની અણઆવડત, અજ્ઞાનતા કહો કે મર્યાદા દેશ આખાએ જોઈ, પણ અસહ્ય યાતના, તો ભરૂચ જિલ્લાની પ્રજાએ જ તન, મન અને ધનથી વેઠવાની આવી…જેના ધા અને કડવાશ મટતા કદાચ દાયકાઓ લાગી જશે…હજુ લોકો 1968 અને 1970 ની રેલના દ્રશ્યો, યાતના ભૂલી નથી શક્યા, ત્યારે તો બંધ નહતો અને રેલ આવી હતી, પણ આટલી પાણીના પ્રવાહની ગતિ, જથ્થાની માત્રા નહતી, જો કે માનવ જીવહાની મોટા પાયે થઈ હતી…આ વખતે એવી માનવ હાનિ નથી થઈ, પણ ઢોર ઢાંખર અને માલ મિલકતનું બહુ મોટું નુકસાન થયું છે. સામે દિવાળી હોય વેપારીઓની ખરીદી, ગૃહિણીઓની અનાજ અને ઘરવખરી ખતમ થઈ ગઈ છે. બીજી બાજુ ખેડૂતોનું આક્રંદ પણ ખતરનાક છે…એક બે વાર બિયારણ નાખી, એકાદ બે દવાઓની રાઉન્ડ પતાવી બહુ ઊંચી આશાઓએ બેઠેલા ખેડૂતોની તો આખી સિઝન-વર્ષ જ ખરાબ થઈ ગયું છે, બરબાદી ઘરના દ્વારે આખા વર્ષ માટે જડાઈ ગઈ છે.
અગાઉ કહ્યું એમ, ટીકાઓ કોને ગમે?? અને તે પણ હાથવગા બહોળા પ્રચાર પ્રસાર ધરાવતા અને અતિ ઝડપી એવા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ ભોગવાનારાઓ એવી ટીકાઓ સરળતા કે સહજતાથી સ્વીકારી શકતા નથી, એ પણ સત્ય છે. મીડિયાનું કામ બેઉ કાર્યો કરવાનું છે, નકારાત્મક પગલાં,
કામોની ટીકા અને સારા કામો, સદ્દકર્મોની સહરાહના…સચ્ચાઈ, સત્યનું હૂબહૂ વર્ણન કરતા ટિકાના દોષમાં પડયા, પણ સત્યનો પક્ષ લેવાનો એક આનંદ જુદો છે. એક ઉચ્ચ અધિકારીને મારે કહેવું પડ્યું હતું કે સાહેબ,અમે તો દર્પણ છીએ, પ્રજા સામે ઊભા રહેવાનું કર્તવ્ય છે, જે જેવું હોય એવું જ બતાવ્યાનું કર્તવ્ય પાલન કરવાનું છે, અને અધિકારીઓ, નેતાઓ તો આવે અને જાય, અમારે 24*7 પ્રજાની વચ્ચે, સાથે રહેવાનું છે, અને હા, જ્યારે પ્રમોશન કે ‘મત’, હાર-જીત અને સત્તાની કોઈ શાડાબારી હોતી નથી, નથી કોઈ ધન-વૈભવની લુચ્ચી લાલચ..તો સાચો પડછાયો, પ્રતિબિંબ પાડવાનો ધર્મ બજાવવામાં વળી શરમ કે ચિંતા શેની ?? આગળના બ્લોગમાં મેં તમામ મીડિયાએ બજાવેલા અને એના પડેલા સકારાત્મક,અસરકારક પડઘાનો આનંદ વ્યક્ત કર્યો છે, તો આ બ્લોગમા એનાથી પણ વિશેષ એક ખુશી, આનંદ વ્યક્ત કરવાની તક ઝડપી લઉં છું…પ્રકૃતિનો ક્રમ છે: વિનાશ પછી વિકાસ…દુઃખ પછી સુખ…તડકો પછી છાયડો…એમ આ અવિસ્મરણીય કડવી યાદો પછી જે માનવીય મહાસાગર મદદ, સહાય, સેવા, લાગણીઓ, હૂંફ આપવાનો ભરૂચ જિલ્લામાંથી જ ઉમટ્યો, અને આસપાસથી પણ સેવાના અમી છાંટણા જિલ્લાને ઠંડક આપતા મળ્યા એ માત્ર ઈશ્વરીય કૃપા જ નહીં, માણસાઈના પણ અવિરત પવિત્ર ઝરણાં કહો કે સાગર…પ્રજાને જીવવા માટે પ્રેરક અને મદદ રૂપ બન્યા છે. હું માનવી માનવ થાઉં તો ઘણું, અને ઘાયલની ગત ઘાયલ જાણે, એક દુઃખનો અહેસાસ આવું દુઃખ વેઠનાર બીજો વિરલ કરે એ તો ઠીક, પણ મદદ એજ માનવ ધર્મનો ઘૂઘવતો સાગર ભરૂચ જિલ્લાએ ઘટનાના આરંભના કલાકોથી જ જોયો…જે હજુ વહી રહ્યો છે, અને વહેતો રહે એવી પ્રાર્થના પણ…
ભરૂચના માથે અચાનક આવેલી આફત, લાખો કરોડોનું ભરપાઈ ના થાય એવું નુકસાન સામે ગણતરીના કલાકોમાં જ જેને જે હાથમાં આવ્યું, સૂઝ્યું,જેની જેવી ને જેટલી તાકાત હતી, એ પ્રમાણે પુર અસરગ્રસ્તોની વહારે જવા એક નાનકડી ઝબકી પછી જિલ્લાની પ્રજાએ જે ત્વરા, જે સેવા ભાવના બતાવી છે એ અત્યંત પ્રભાવિત કરનારી અને એક પછી એક સહુના માટે પ્રેરણા દાયી બની છે. સરકારી તંત્રને એની પોતાની એક મર્યાદા હોય છે, સર્વે કરવો, અંદાજ મેળવો, મંજૂરી લો…જાહેરાત કરો, વ્યવસ્થા ગોઠવો…પછી સહાય પહોંચાડો…પણ પ્રજા-પાશ પાડોશીઓ તો સ્વયમ આફતમાં ફસાયેલાઓ માટે દેવદૂત બની શકે છે, એ મનના રાજા છે, આત્મસંતોષ અને સેવા જ એમનું જીવન હોય છે. બે પાંચ પંદર હશે કદાચ જે વાહવાહી કરવા, કરાવવા ફોટો સેસન કરીને વટ જમાવતા હોય, પણ આ દુર્ઘટનામાં 80-90% લોકોએ, એક માત્ર મદદ, હૂંફ, સેવાની ભાવનાથી જે સહાય કાર્યો કર્યા છે તે કાબિલે દાદ છે, જો મીડિયા-સમાજ કે હું-આપણે એની નોંધ લઈ, એમના આ માનવીય અભિગમના કાર્યોનેના બિરદાવીએ તો આપણો માનવધર્મ ભૂલીએ-ચુકીએ…ગણ્યા ગણાય નહીં એટલે સંસ્થાનો, NGO, અરે શાળાઓ, મોટી-નાની સામાજિક સંસ્થાઓ, ફળિયાના મંડળોથી માંડી એકલ દોકલ બે ચાર માણસોને પણ જે મળ્યું એ લઈને અસરગ્રસ્તોની વહારે પહોંચ્યા છે. ના પીવાનું પાણી મળે, ના પહેરવાના કપડાં કે અનાજ, ના ગાદલાં, ગોદડી, કે કોરી ચાદર…પગરખાં સુધ્ધાં જેમના તણાઈ ગયા…જેમની આસપાસ માત્ર ગંદા પાણી, કીચડ…વેર વિખેર ખુદના-બીજાના ઘરના સામાનોને જોઈ જોઈ હતપ્રભ બનેલા અસંખ્ય જીવોએ, એક આખી રાત ભૂખ્યા, તરસ્યા કાઢેલી એવા બાળકો, વૃદ્ધો, યુવાનોને બિસ્કિટથી સરુ કરી, ફૂડ પેકેટ્સ, રાંધેલો ખોરાક પહોંચાડવાનું ભગીરથ કાર્ય જિલ્લામાંથી 100 થી વધુ નામી,અનામી નાની મોટી સંસ્થાઓએ કર્યું છે…હજુ કરી રહ્યા છે.
મીડિયાની નજરે ચઢ્યા છે, એવી સતત સેવાભાવી સંસ્થાઓમાં મોટા માથાંઓ એવા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (AIA), (PIA) ઝગડીયાનું સંગઠન, દહેજનું સંગઠન BAPS ની સ્વામિનારાયણ સંસ્થા એ સતત જરૂરી અન્ન પુરવઠો, ખાદ્ય સામગ્રી ટન બંધી વહેંચી રહ્યા છે, તો અતિ વિશ્વાસપાત્ર બનેલી રાકેશ ભટ્ટના નેતૃત્વ વાળી સેવાયજ્ઞ સમિતિએ તો શબ્દો ઓછા પડે એટલું વંદનીય કાર્ય કર્યું છે…
પ્રો-લાઈફ ફાઉન્ડેશને પણ અંકલેશ્વરની આસપાસ કોઈને તકલીફ ન પડે, કોઇને દિમાગમાં પણ ઝટના ચઢે એવી ચીજ વસ્તુઓ લોકોને ગામે ગામ, ઘરે ઘરે જઈને પહોંચાડી છે. HMP ફાઉન્ડેશન, મન મૈત્રી સઁસ્થા, જન સેવા -પ્રભુ સેવા જેવી સંસ્થા, એમિટી સ્કૂલ, નારાયણવિદ્યા વિહાર અને નારાયણ વિદ્યાલય જેવી શાળાઓ પણ મેદાનમાં ઉતરીને સેવાની સુવાસમાં સહભાગી બની રહી છે. રોટરી કલબ ઓફ ભરૂચ,જાયન્ટસ ગ્રુપ, સક્રિય પત્રકાર સંઘથી માંડી પ્રવીણભાઈ કાછડીયાની શાળા, સંઘની સંસ્થાઓ,”સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ”…કોઈએ પોતાનું કર્તવ્ય છોડ્યું કે ભુલ્યું નથી…કેટલાક દાનવીરોએ હાથની મુઠ્ઠીઓ ખોલીને, સેવાનો અવસર માણવાની કોશિશ કરી છે. પ્રકૃતિના કોઈ પણ પડકારને પહોંચી વળવા માનવીની હિમ્મત અને હોંસલો ભરૂચ જિલ્લાની જનતાએ સહુને બતાવ્યો છે. સમયે જે છીનવી લીધું છે, એનું એ જ ભલે ના પાછું મળે, પણ એનાથી પણ વિશેષ કે વિશિષ્ટ, કુદરત આપણને આપતી હોય છે. એક દુર્ઘટના ગણી, રેવાની રેલમાંથી સહુ વહેલા બહાર આવે,જનજીવન થાળે પડે, એજ આ ગણેશ ઉત્સવની ઈશ્વર, ગણેશજીને હૃદયથી પ્રાર્થના…અહીં અસંખ્ય સંગઠનો, ગ્રુપ દ્વારા સેવા અપાઈ, કરાઈ છે, જે કોઈ નામ રહી ગયા હોય, વિસ્મૃત થયા હોય તો ક્ષમા યાચના…અહીં માત્ર એક ઝાંખી મુકાઈ છે જન સેવકો ની..✍️🙏