Published by : Vanshika Gor
ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રમુખ કોનરાડ સંગમા સતત બીજીવાર મેઘાલયના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. આ અવસરે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. અત્રે જણાવવાનું કે આજે મેઘાલયની સાથે સાથે નાગાલેન્ડમાં પણ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. બંને રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યો છે. નાગાલેન્ડમાં નેફ્યૂ રિયો બપોરે 2 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
8 માર્ચના રોજ ત્રિપુરામાં થશે શપથગ્રહણ સમારોહ
બીજી બાજુ ત્રિપુરામાં પણ માણિક સહા એકવાર ફરીથી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. માણિક સાહા 8 માર્ચના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગઈ કાલે તેમણે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો. ભાજપ સંલગ્ન ગઠબંધન મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સત્તામાં પાછું ફર્યું છે.
પીએમ મોદી પૂર્વોત્તરના પ્રવાસે
અત્રે જણાવવાનું પીએમ મોદી આજથી બે દિવસના પૂર્વોત્તરના પ્રવાસે છે. મેઘાલય ઉપરાંત ત્રિપુરા, નાગાલેન્ડમાં પણ શપથગ્રહણ સમારોહમાં તેઓ ભાગ લેશે. આ સાથે જ અસમ મંત્રીમંડળના સભ્યો સાથે બંધ બારણે બેઠક પણ કરશે. શિલોંગમાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધા બાદ પીએમ મોદી કોહિમા રવાના થઈ જશે અને ત્યાં નાગાલેન્ડની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે.