બોલિવૂડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. આ વચ્ચે લગ્નને લઈને વધુ એક અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નસ્થળ તરીકે ચંદીગઢના ‘ધ ઓબેરોય સુખવિલાસ પેલેસ’ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.
ધ ઓબેરોય સુખવિલા રિસોર્ટમાં લઈ શકે છે સાત ફેરા
એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘પિંકવિલા’ના એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રાનાં અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે બંને છેલ્લા એક મહિનાથી લગ્ન માટે જગ્યા શોધી રહ્યાં છે. સિદ્ધાર્થ તથા કિઆરા આ સમયે ચંદીગઢમાં પ્રોપર્ટી શોધી રહ્યાં છે. એમાં ‘ધ ઓબેરોય સુખવિલા રિસોર્ટ’ સૌથી પહેલી પસંદગી બને તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિસોર્ટમાં જ અગાઉ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ લગ્ન કર્યાં હતાં.
આ કપલ પહેલાં ગોવામાં લગ્ન કરવાનું હતું
સૂત્રોના હવાલાથી આવતી માહિતી પ્રમાણે, અગાઉ આ કપલે લગ્ન માટે ગોવાની પસંદગી કરી હતી, પરંતુ સિદ્ધાર્થનો પરિવાર પંજાબમાં રહેતો હોઈ ગોવાનો પ્લાન કેન્સલ કર્યો છે.
ડિસેમ્બરમાં લગ્નને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી
અન્ય એક એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘બોલિવૂડ હંગામા’ના અહેવાલ પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી નાખી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થશે.
લગ્નની જાહેરાત ટૂંક સમયમાં
હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે.