મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડવાની દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પર આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલેને પિટિશનમાં પક્ષકાર તરીકે જોડ્યો હતો. સાથે જ મોરબી નગરપાલિકાનો હાઈકોર્ટે ઉધડો લીધો હતો. હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને આકરા સવાલ કર્યા કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ પગલાં ન લીધા? Oreva ગ્રુપના લોકો એ બ્રિજનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, તમે શું કરતા હતા? સાથે જ હાઈકોર્ટને રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે પગલા લીધા હોવાની જાણ કરાઈ હતી.
જયસુખ પટેલ બચાવમાં શું દલીલ કરી?
હાઈકોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા કોર્ટમાં પોતાના બચાવમાં કહેવાયું કે, મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજના સમારકામ માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાઈ છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. જેની સામે કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે, વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.
રાજ્યના તમામ જર્જરીત બ્રિજ જલ્દી રીપેર કરવા HCનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે આ સાથે જ રાજ્યમાં જૂના બ્રિજના સમારકામ અને રીપેરીંગનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવો હુકમ પણ રાજ્ય સરકારનો કર્યો હતો. કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે રાજ્યમાં કુલ 1441 બ્રિજ છે, જેમાંથી 168 મેજર બ્રિજ છે, 180 માઈનર બ્રિજ છે. 63 જેટલા મેજર બ્રિજમાં રીપેરિંગની જરૂર છે. જેમાંથી 27 બ્રિજ રીપેર કરાયા છે અને બાકીનાની કામગીરી ચાલુ કરાઈ છે.