બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 31 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
1 ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
6 જટુભા લાલુભા, રહે. રાણપરી
7 વિજય પઢિયાર, રહે. રામપરા
8 ભવાન નારાયણ, રહે. વેયા
9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
10 નસીબ છના, રહે. ચોકડી
11 રાજુ, રહે. અમદાવાદ
12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
13 ભવાન રામુ, રહે. નભોઈ
14 યમન રસીક, રહે. ચોકડી
આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 31એ પહોંચ્યો છે. હાલમાં બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપી ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કર્યો છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે.
હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી