Home DEVELOPMENT આવી હશે તા 30 સપ્ટેમ્બરે શરૂ થનારી ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેન

આવી હશે તા 30 સપ્ટેમ્બરે શરૂ થનારી ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેન

0

•30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ

•ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી

•ગાંધીનગરથી મુંબઈની વચ્ચે દોડશે સેમી હાઇસ્પીડ ટ્રેન

•દેશમાં જ વિકસિત કરવામાં આવેલી ‘KAVACH’ટેક્નીકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન

•GSM / GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર જેવી સુવિધાઓ, 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરશે

29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટને વધુ એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.

દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 2022ના બજેટમાં 2000 કિલોમીટર સુધીના રેલ નેટવર્કને ‘કવચ’ હેઠળ લાવવાની યોજના વિશે એલાન કરવામાં આવ્યું હતું અને માર્ચ 2022માં રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું.

ઘણી વિશિષ્ટ છે વંદે ભારત ટ્રેન

સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0 થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે.

એસીના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે GSM / GPRS જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે.

દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જ રીતે, અંધ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે, જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.

એટલું જ નહીં, આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.

આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે વંદે ભારત ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ.100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.

ઓગસ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો છે લક્ષ્યાંક

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરાની વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના એક ભાગરૂપે માનનીય વડાપ્રધાને ઓગસ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version