- સરકાર તરફથી આ મુદ્દે નિર્ણય ન લેવામાં આવે તો ન છૂટકે આંદોલનની ચીમકી
ગુજરાતના સોલ્ટ મેન્યુફેક્ચરર્સની જમીનનો ભાડાપટ્ટો રીન્યુ ન થતા ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને સરકાર આ અંગે સત્વરે પગલા ભરે તે માટે માંગ કરાઈ હતી.
ગુજરાતનો મીઠા ઉદ્યોગ ૫ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગ ભારતની ૮૦ ટકા જરૂરીયાતોને સંતોષે છે. તેઓ આ અંગે આંદોલન પણ નથી કરતા. પરંતુ તેમની ભાડા પટ્ટાની જમીનની અરજીઓનો છેલ્લા ૧૦ થી ૧૪ વર્ષથી નિકાલ આવ્યો નથી. આ અંગે તેઓ પરેશાન થઇ ગયા છે. ભરૂચના દહેજમાં પણ કેટલાક મીઠા ઉત્પાદકો આ સમસ્યાથી પરેશાન છે. ભાડા પટ્ટો રિન્યુ ન થતો હોવાથી તેમને બેન્કમાંથી ધિરાણ પણ મળતું નથી.
ગુજરાતના ૫૦૦થી વધુ મીઠા ઉત્પાદકોની ભાડાપટ્ટો રીન્યુ ન થતા હાલાકી વધી રહી છે. આ અંગે દરિયાકિનારે ભાડાપટ્ટેથી આપવામાં આવેલી જમીનનો ભાડાપટ્ટો ઝડપથી રિન્યુ કરી આપવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. સરકારને પત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે સરકારે વર્ષ ૨૦૧૮માં પાડેલ પરિપત્ર પ્રમાણે ભાડાપટ્ટો રીન્યુ કરવાની પ્રક્રિયા જટિલ બની ગઈ છે. ભાડા પટ્ટો રિન્યુ કરવા માટે અરજી કરવામાં આવે તેના ૯૦ દિવસની અંદર જ પાંચ વિભાગો જેવા કે ઉદ્યોગ વિભાગ, મહેસૂલ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, પંચાયત વિભાગ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું આવે છે. આ સર્ટિફિકેટ મેળવવામાં ૨૦૦ દિવસથી માંડીને ૬૦૦ દિવસ કરતા વધુ સમય લાગી જાય છે. પરિણામે તેઓનો ભાડાપટ્ટો રિન્યુ થતો જ નથી.
મીઠા ઉત્પાદકો દ્વારા આ અંગે અગાઉ મહેસૂલ ખાતામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેનો હજી સુધી કોઈ પણ ઉકેલ આવ્યો નથી. ભાડાપટ્ટો રીન્યુ કરવાની પદ્ધતિ એક સમાન હોવા છતાં અલગ અલગ કચેરીમાં રજી રોકી રાખવામાં આવે છે. અને વધારે સમય થઇ જાય છે. આ અંગે મુખ્યમંત્રીને સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે અલગથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. સરકાર તરફથી આ મુદ્દે નિર્ણય નહિ લેવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.