Published by : Vanshika Gor
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે બ્રિસબેનના પ્રખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા મંદિરના પ્રમુખ સતીન્દર શુક્લાએ કહ્યું કે, સવારે ભક્તો પૂજા માટે મંદિર પહોંચ્યા હતા, આ દરમિયાન તેઓએ જોયું કે મંદિરની દિવાલને નુકસાન થયું છે. હિંદુ હ્યુમન રાઈટ્સનાં ડાયરેક્ટર સારાહ ગેટ્સનું કહેવું છે કે, આ હેટ ક્રાઈમ શીખ ફોર જસ્ટિસની તર્જ પર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુઓને ડરાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાનો આ પહેલો મામલો નથી. આ પહેલા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન વિસ્તારમાં સ્થિત શ્રી શિવ વિષ્ણુ મંદિર પર પણ ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. મંદિરમાં તમિલ હિન્દુઓ દ્વારા ત્રણ દિવસીય થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં કાર રેલી કાઢીને ખાલિસ્તાન પર લોકમત માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓને સમર્થન મળી શક્યું નહીં અને મેલબોર્નમાં ભારતીય મૂળની લગભગ 60,000 વસ્તી છે, પરંતુ માત્ર થોડાક જ લોકો હાજર હતા.
જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયાના મિલી પાર્ક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના પણ સામે આવી હતી. મેલબોર્નના ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ મંદિરોમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખવાનો મુદ્દો પણ ભારત સરકાર તરફથી ઓસ્ટ્રેલિયા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન જારી કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.




