Published By:-Bhavika Sasiya
- ભારતની આંતરીક બાબતો પર પણ વિદેશની સરકારો ટીકા ટિપ્પણી કરતી હોય છે જેમકે કેનેડાની સરકારે જણાવ્યુ કે પંજાબ પર નજર છે જોકે ભારતે તેનો કરારો જવાબ આપ્યો હતો…..
કેનેડાના વિદેશ મંત્રીએ આપ્યું પંજાબ પર નિવેદન પંજાબમાં બદલાતી પરિસ્થિતિથી વાકેફ છીએ કેનેડાના વિદેશ પ્રધાન મેલિની જોલીએ સંસદમાં એક નિવેદન આપતા કહ્યું હતું કે કેનેડા પંજાબની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને કેનેડામાં રહેતા સમુદાયને તેના વિશે જાણકારી આપતા રહેશે. આ સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે પંજાબને લઈને વિદેશી નેતાઓના નિવેદન પર કહ્યું છે કે, ખોટી અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરો. જણાવી દઈએ કે પંજાબ પોલીસે વારિસ પંજાબ દે સંગઠનના કટ્ટરપંથી નેતા અમૃતપાલ સિંહના ઘણા સહયોગીઓની ધરપકડ કરી છે અને ફરાર અમૃતપાલની શોધ ચાલી રહી છે.કેનેડાના સંસદમાં ભારતીય મૂળના સાંસદ એકવિન્દર એસ ગહીરના સવાલના જવાબમાં વિદેશ મંત્રી મેલિની જોલીએ કહ્યું કે ‘અમે પંજાબમાં બદલાતી પરિસ્થિતિથી વાકેફ છીએ અને અમે આ સમગ્ર મામલાની નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમને આશા છે કે ત્યાંની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય અને સ્થિર થઈ જશે. કેનેડાના નાગરિકો હંમેશા સરકાર પર ભરોસો કરે છે અને અમે તેમની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો કરવાનું ચાલુ રાખીશું. સાંસદ ગહિરે પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને વિદેશ મંત્રીને આ અંગે ગૃહને જાણ કરવાની માંગ કરી હતી. કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું કે અમને આશા છે કે પંજાબમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જણાવી દઈએ કે કેનેડામાં તાજેતરના સમયમાં હિન્દુ વિરોધી ઘટનાઓમાં પણ વધારો થયો છે. ભૂતકાળમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઘણા હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે પણ આ અંગે કેનેડા સરકારને ફરિયાદ કરી હતી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જૉકે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિદેશમાં રહેતા લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર અમુક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે.




