Published by : Rana Kajal
ગુજરાતમાં આજે ભાજપે ઐતિહાસિક વિજય બાદ ઐતિહાસિક રીતે શપથગ્રહણ સમારોહ પણ આટોપી લીધો હતો. જેમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. જોકે આ વખતના મંત્રીમંડળમાં અનેક ચહેરાઓ કપાઇ ગયા હતા. જ્યારે મંત્રીમંડળમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરીયાને સ્થાન મળ્યું હતું.
ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 5 જ વખત નાયબ મુખ્યપ્રધાનની નિમણુંક કરવાની ફરજ પડી છે. જેમાં 1972 માં ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે બે દિગ્ગજ નેતાઓનો અસંતોષ ખાળવા માટે બે નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ફરજ પડી હતી. જેમાં ચીમનભાઇ પટેલ અને કાંતિલાલ ઘીયાને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા હતા.
માર્ચ 1990 માં ફરી ચિમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે કેશુભાઇ પટેલને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા હતા. ત્યાર બાદ 1994 માં જ્યારે છબીલદાસ મહેતાને સીએમ બનાવાયા ત્યારે નરહરી અમીનને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ફરજ પડી હતી. ત્યાર બાદ આવી સ્થિતિ 7 ઓગષ્ટ 2018 માં આવી હતી જ્યારે નીતિન ભાઇ પટેલને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. કુલ પાંચ નાયબ મુખ્યપ્રધાન બન્યા તે પૈકી ત્રણ કોંગ્રેસના કાર્યકાળમાં જ્યારે 2 ભાજપના કાર્યકાળમાં બન્યા હતા.
જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, જેટલી વખત પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે કોઇ પણ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. ઘનશ્યામ ઓઝાની સરકાર સમયે બે નાયબ મુખ્યપ્રધાનો ચિમનભાઇ પટેલ અને કાંતિલાલ ઘીયા માર્ચ 1972 થી જુલાઇ 1973 સુધી જ મુખ્યપ્રધાન રહ્યા હતા. કેશુભાઇ પટેલ માર્ચ 1990 થી ઓક્ટોબર 1990 વચ્ચે નાયબ મુખ્યપ્રધાન રહ્યા હતા. નરહરી અમિન ફેબ્રુઆરી 1994 થી માર્ચ 1995 સુધી જ રહ્યા હતા. નીતિન પટેલ 7 ઓગષ્ટથી 11 સપ્ટેમ્બર 2021 સુધી જ આ પદ ભોગવી ક્યા હતા.




