Home News Update My Gujarat ‘બાપુજી’ – વડીલ વંદનાના અનોખા પ્રકલ્પ સુરતના સામાજિક અગ્રણી શ્રીવલ્લભભાઈ સવાણીની વડીલ...

‘બાપુજી’ – વડીલ વંદનાના અનોખા પ્રકલ્પ સુરતના સામાજિક અગ્રણી શ્રીવલ્લભભાઈ સવાણીની વડીલ સેવા વંદનાની એક ઝલક…

0

Published By : Kajal Rana

રોજી રોટી માટે વતન છોડીને સુરત આવેલા કેટલાય પરિવાર જે માત્ર એક રૂમ રસોડાના મકાનમાં ભાડે રહેતા હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા હોય. આવા પરિવારમાં સૌથી વધુ કફોડી સ્થિતિ વડીલોની હોય છે. ગામડાના મોટા ફળિયામાં રહેવા ટેવાયેલા વડીલોને શહેરની સંકડામણ ગૂંગળાવી નાંખે પરંતુ પરિસ્થિતિને આધીન થઇ તેમને શહેરમાં આવવું પડે.


ગામડું છોડીને સુરત આવેલા આ વડીલો માટે મોટી સમસ્યા એ છે કે સવારે દીકરો કામે જતો રહે પછી ઘરમાં વહુ હોય અને એક જ રૂમનું ઘર હોય એટલે મહિલા વડીલને તો બહુ વાંધો ન આવે પણ પુરુષ વડીલને ઘરમાં રહેવામાં સંકોચ થાય. અને એમાં પણ જો વડીલો વિધુર હોય તો ઘરમાં બેસી રહેવા મન સંકોચાઈ એટલે વડીલો ઘરની બહાર નીકળી મંદિર કે બગીચો કે પછી રોડ પર બેસીને સમય પસાર કરવા મજબૂર અને સાંજે દીકરો ઘરે આવવાની રાહ જોવાની. દીકરો આવે ને વડીલ પણ બહારથી ઘરે આવે. દીકરા અને વહુની પૂરી ઈચ્છા હોય કે વડીલો માટે બધી વ્યવસ્થા કરે ઈચ્છા હોવા છતાં આવકના સાધનો જ એટલા ટૂંકા હોય, તેવો કઈ ન કરી શકે .

આજ વાત ને ધ્યાન માં લઇ સુરતના સામાજિક અગ્રણી શ્રી વલ્લભભાઈ સવાણી એ કે આવા વડીલો માટે કંઇક કરવું . વડીલોનો સમય મોજથી વિતે અને વધુ જીવવાની એમને ઈચ્છા થાય એવું સેવાકાર્ય કરવું છે. સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા પોતાના વિશાળ ફાર્મમાં વલ્લભભાઈએ વડીલો માટે વિશિષ્ટ સુવિધા ઊભી કરી. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી વડીલો ફાર્મ આવે એ માટે બસો ની વ્યવસ્થા કરી. બપોરના ૨ વાગ્યા પહેલા પી.પી.સવાણી ગ્રુપની બસો બપોરે જુદા જુદા વિસ્તારમાં જઈને વડીલોને ફાર્મ પર લાવે.
ચા – કોફી- નાસ્તો વડીલો કરાવામાં આવે. બેસવા માટે ફાર્મના એક ભાગમાં સુંદર શેડ તૈયાર કર્યો છે ત્યાં બેસે. સવાણી સ્કૂલના જ એક નિવૃત્ત આચાર્ય બધા વડીલોને જુદી જુદી કથાઓ કહે. વડીલો પણ પોતાની ઈચ્છા મુજબ વાતો કરે, ધૂન, ભજન ને કીર્તન કરે અને જુદી જુદી રમતો રમેં, અને આનંદ કિલ્લોલ કરે જાણે કે બાળપણ પાછું આવ્યું હોય. પછી બસોમાં બેસીને સાંજે પોત પોતાના ઘરે જાય.

શ્રી વલ્લભભાઈ સવાણી આ પ્રવુતિ છેલ્લા ૧૧ વર્ષથી કરી રહ્યા છે જેનો ૨૫૦ કરતા વધુ વડીલો લાભ લઈ રહ્યા છે. વડીલોના આ મિલનસ્થાનને નામ આપવામાં આવ્યું છે ‘પ્રેમ-લક્ષ્મી મંદિર’. વલ્લભભાઈએ એમના પિતાજી પ્રેમજીભાઈ અને માતા લક્ષ્મીબેનના નામ ઉપરથી આ અનોખું પ્રેમલક્ષ્મી મંદિર તૈયાર કર્યું જે કેટલાય વડીલોના નીરસ જીવનને રસપૂર્ણ બનાવી રહ્યું છે. અહીંયા આવતા પ્રત્યેક વડીલમાં પોતાના માતા-પિતાની છબી દેખાય અને પૂર્ણ આદર સાથે એની સેવા થાય એટલે જ વલ્લભભાઈએ આવું નામ રાખ્યું હશે.

આ તમામ વડીલોને વર્ષમાં એકાદ વખત તીર્થયાત્રા, જુદા જુદા ઉત્સવો અને તહેવારોની ઉજવણીમાં સામેલ કરવામાં આવે છે. આ સાથે દર દિવાળીએ વડીલો એમની ઈચ્છા પ્રમાણે ને ખર્ચ કરવા માટે રોકડ પણ આપવામાં આવે છે. પૂર્ણ આદર અને સન્માન સાથે સાચવવામાં આવે છે. ફાર્મ – પ્રેમલક્ષ્મી મંદિર દાદા-દાદીઓની શાળા છે, ભણવાનું પણ છે, રમવાનું પણ છે અને રવિવારની રજા પણ છે.આ એક સામાન્ય લાગતી પ્રવૃતિથી કેટલાય વડીલોની અમુક દવાઓ બંધ થઈ ગઈ હશે, બી.પી. અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ કંટ્રોલમાં આવી ગયા હશે.સુરત જેને ‘બાપુજી’ ના હુલામણા નામથી ઓળખે છે અને માથા પરની ટોપી જેની આગવી ઓળખ છે એવા વલ્લભભાઈ સવાણીના આ વડીલ વંદનાના અનોખા પ્રકલ્પને સો સલામ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version