- ભરૂચમાં વેપારીઓ સાથે આપના ગોપાલ ઇટાલિયાની બેઠક
- રાજયમાં વેપારીઓ, ખેડૂતો, અને ખાસ કરી મધ્યમ વર્ગનું આપ માટે વધતું સમર્થનનો દાવો
- ભાજપ અને તેના આગેવાનોએ માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો હોવાની રાવ, આપથી હાલ BJP ફફડી રહ્યું હોવાનો મત કર્યો વ્યક્ત
2022 ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તેવો મત ભરૂચમાં આપના ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો.રવિવારે આમ આદમી પાર્ટીની ભરૂચ જિલ્લાના વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. વેપારીઓએ ભાજપથી તેઓ કંટાળી ગયા હોવાનો તેમજ તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર, કટકીબાજી તેમજ ભ્રષ્ટાચારનો બળાપો કાઢ્યો હતો.સામે આપના ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને તેના આગેવાનો આમ આદમી પાર્ટીથી ભયભીત બની ગયા છે. વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુશાસન તેમજ વચનોને લઈ ગુજરાતમાં પણ આપ પ્રજાનું દિલ જીતી લેશે.

આ ચૂંટણીમાં ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારનો અંત આવશે. આપ અને અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે.આજે ગુજરાતમાં આપ સાથે તેમજ તેના સમર્થનમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, વિધાર્થીઓ, નોકરિયાત અને મધ્યમ વર્ગ જોડાઈ રહ્યો છે. ભાજપે ગુજરાતમાં તેના વર્ષોથી શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર અને શોષણ કર્યું હોવાના આક્ષેપ પણ ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા. જોકે હવે ગુજરાતની પ્રજા આપ તરફ વળી રહી હોય ભાજપની ઊંઘ હરામ થવા સાથે આપ થી ભાજપ ભયભીત બન્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો




