Published by : Rana Kajal
પ્રાચીન મહોત્સવ હોવા છતાં આકર્ષણ યથાવત…. દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવાં વાલમ ગામના હાથિયા ઠાઠું મહોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું…વિસનગર તાલુકાના વાલમ ગામે પરંપરાગત 350 વર્ષથી ચાલતો આવતો હાથિયા ઠાઠુ મહોત્સવ આ વર્ષે પણ યોજાયો હતો. વાલમ ગામની વાંકી ચૂંકી ગલીઓમાં 60થી 70 કિમીની ઝડપે બળદોને દોડાવીને સ્પર્ધા કરવામાં આવી હતી. વાલમ ગામે યોજાતો હાથિયા ઠાઠુ મહોત્સવએ એક્તાની સાહસિક્તા પણ બતાવે છે. જેમાં આ મહોત્સવની શરૂઆત ચૈત્ર વદ પૂનમથી કરવામાં આવે છે અને ચૈત્ર વદ દસમ સુધી મહોત્સવ ચાલે છે. સાહસ ભરેલ આ મહોત્સવને જોવા માટે આજુબાજુના ગામડાઓ સહિત ગામના વિદેશમાં રહેતા લોકો પણ ગામ તરફ ભણી આવે છે અને મા સુલેશ્વરીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ અંગે સુલેશ્વરી માતા મંદિર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ મહોત્સવના ઈતિહાસ વિશે જણાવે છે કે.વાલમ ગામમાં શરૂઆતથી 300થી 400 જેટલા નાગર બ્રાહ્મણોના ઘરો હતા. વાલમ ગામએ વિરસોડા સ્ટેટમાં આવેલું હતું. વીરસોડા સ્ટેટના જે ચાવડા દરબાર છે જે તે સમયે હાથી પર બેસી પલ્લયી માતાની પૂજા કરવા માટે જતા હતા. કાળક્રમે રાજાઓનો રાજ પાઠ પણ પૂરા થઈ ગયા. જે નાગર બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી જેથી આ પૂજા કરવા માટે એમને કરવાનું કહ્યું. જેથી નાગર બ્રાહ્મણોએ આ વ્યવસ્થા સંભાળી લીધી. એમના બદલામાં નાગર બ્રાહ્મણોને વાવવા માટે જમીન આપી. જેમાં લગભગ 100કે 150 વીઘા જમીન દરબારે આપી હતી. નાગર બ્રાહ્મણોએ પૂજાનું કામ ચાલુ કર્યું અને શરૂઆતમાં ફક્ત એક હાથીયાનો મહોત્સવ હતો.

ગામમાં બે પ્રકારના પટેલ છે વઢવાણા અને ચંદાત. જેમાં વઢવાણાનો હાથિયા મહોત્સવ કાર્યકમ ચાલતો હતો. એમાં ચંદાત લોકો ઠાઠ કરીને ગાડુ જોડીને ગયા. તેથી એનું નામ ઠાઠુ થયું. આમ વાલમ ગામે હાથિયો અને ઠાઠુ એમ પ્રકારના ગાડુ ચાલુ થયા. ચૈત્ર વદ પાંચમથી આ તહેવાર ચાલુ થાય છે. પાંચમની પલ્લી ચાલે, છઠ્ઠનું શેર બશેર થાય જેમાં દેવીપૂજક ભાઈ પલ્લ્યી માતાના મંદિરથી માથા પર ખીચડો ભરી લાવી સુલેશ્વરી માતા મંદિર આવે છે. જેની સાથે ઘણા લોકો હોય છે. એમાં શુકન જોવામાં આવે છે. જેમાં માટલું સુલેશ્વરી માતાના પટાંગણમાં પછાડવામાં આવે છે અને જો એનો કોઠલો સાજો થઈ જાય તો શુકન સારા છે એવું સમજવામાં આવે છે. જેમાં સાતમે ફૂલ વહેંચણી થાય છે અને આઠમે હોકો આ બંને કાર્યક્રમો નાયક ભાઈઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.
નોમ અને દશમના દિવસે હાથિયા ઠાઠુનો તહેવાર ઉજવવામાં આવે છે. વઢવાણા ભાઈ તરફથી હાથીયો અને ચંદાત ભાઈઓ તરફથી ઠાઠુ રાખવામાં આવે છે. જેમાં હાથિયા અને ઠાઠુના ટાયર લાકડાના રાખવામાં આવે છે. જેમાં બંને રથને ચાર ચાર બળદથી જોડવામાં આવે છે. ઠાઠુએ થડામાંથી શરૂઆત થાય છે અને લાયબ્રેરી જોડે એક રાઉન્ડ પૂરો થાય છે. હાથિયાનો રાઉન્ડ ચોપડિયાથી શરૂઆત થાય અને ગામમાં ફરી લાયબ્રેરી આગળ પૂરો થાય છે. જેમાં બને લાયબ્રેરી આગળ ભેગા થઈ ચાર બળદ હાથિયાના અને ચાર બળદ ઠાઠુના મળી એકદમ સીધા રોડ પર સખ્ત સ્પીડથી દોડાવવામાં આવે છે.

હાથિયો અને ઠાઠુ બનાવવામાં આવે છે. જેમાં કાળ ક્રમે હાથી ન રહેતા ગાડાને હાથીની સૂંઢની જેમ શણગારવામાં આવે છે. આમાં ગામના દરેક સમાજના લોકો એમનો હિસ્સો રજૂ કરે છે. જેવી રીતે કે અનુસૂચિત જાતિના ભાઇઓ છે એ લાકડું કાપીને લાવે છે. સુથાર ભાઈઓ લાકડું ઘડી તૈયાર કરે છે. પ્રજાપતિ ભાઈઓ ગાડા પર પાણી રેડે છે. પટેલ ભાઈઓ બાકીનું બધું કામ કરે છે. ગૌસ્વામી નગારાને સપ્લાય કરવાનું કામ કરે છે. આમ તમામ સમાજના લોકો નાનો મોટો હિસ્સો આપે છે. એના લીધે ગામનું વાતાવરણ સુમેળ ભર્યું રહે છે.
વાલમ ગામે હાથિયાનો મહોત્સવ છેલ્લા 350 વર્ષથી ચાલે છે. અત્યારે ગામમાં દિવસેને દિવસે સંખ્યા ઘટતી જાય છે. જેથી ધંધા રોજગાર માટે લોકો બહાર નીકળી ગયા છે. હાથિયા ઠાઠુના તહેવાર નિમિત્તે ગામના કેટલાય લોકો વિદેશથી પરત આવી જાય છે. જેમાં ફક્તને ફક્ત પાંચ દિવસ માટે ટિકિટ લઈને હાથિયા ઠાઠુ માટે આવી જાય છે. આમ વાલમ ગામના અને હાલ ન્યુયોર્ક ખાતે 27 વર્ષથી રહેતા સંદીપ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાલમ ગામથી અમારો લગાવ છે. જે અમારી માતૃભૂમિ છે. આ હાથિયા ઠાઠુ મહોત્સવમાં નાના છોકરાઓથી લઈને મોટા લોકો અચૂક આ તહેવારનો લાભ લેવા માટે આવે છે. મારા પપ્પા પણ આવતા હતા અને અમે પણ આવી એ છીએ અમને સુલેશ્વરી માતા સાથે બહુ લગાવ છે.




