સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય એમ 9 નવેમ્બરથી શરૂ થઇ રહેલી પરીક્ષામાં પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે.
કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલશે.
અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટનાને પગલે આ પરીક્ષામાં QPDS (ક્વેશ્નન પેપર ડિલિવરી સિસ્ટમ) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને અમલી કરવા પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ યુનિવર્સિટીની 9મીથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં જ QPDS સિસ્ટમ લાગુ કરવા પ્રાથમિક ધોરણે તૈયારી ચાલી રહી છે. કારણ કે, કોમર્સના કેટલાક પેપરના પેજ વધુ માત્રામાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલશે.
ઈ-મેલ મારફત એક કલાક પહેલાં જ પેપર મોકલાશે
બુધવારથી 110 કેન્દ્ર પર શરૂ થઇ રહેલી પરીક્ષામાં બીએસસી સેમેસ્ટર-3, બીબીએ સેમેસ્ટર-3, બીપીએ, બીએસસી આઈટી, બીએ, એમએ, એમબીએ, એલએલએમ સેમેસ્ટર-3ના પેપર જે-તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઈ-મેલ મારફત એક કલાક પહેલાં જ મોકલાશે. જ્યારે 26,294 વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીના છે. જેમાં બી.કોમ સેમેસ્ટર-3ના રેગ્યુલરના 21,759 વિદ્યાર્થી અને એક્સટર્નલના 1012, એમ.કોમ સેમેસ્ટર-3ના રેગ્યુલરના 1194 વિદ્યાર્થી અને એક્સટર્નલના 2329 વિદ્યાર્થીને રૂબરૂ પેપર મોકલવામાં આવશે. આ વખતે વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલવાના હોવાથી પેપર લીક થાય તો ક્યાં કેન્દ્ર કે કોલેજમાંથી થયું તેની જાણ થઇ શકશે તેવું યુનિવર્સિટીના અધિકારીઓ જણાવે છે.




