ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીને લઈને તમામ પક્ષો પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે પણ બે ચરણમાં મતદાન યોજાવાનું છે. જેમાં 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર અને 5મી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ગુજરાતના 17 હજાર જેટલા લોકો ભારતના નાગરિક હોવા છતાં પણ આ વખતે મતદાન નહીં કરી શકે.
32 જેલમાં 17 હજાર કેદીઓ
લોકશાહીમાં આમ તો દરેક વ્યક્તિને પોતાનો કિંમતી મત આપીને નેતા પસંદ કરવાનો અધિકાર છે. પરંતુ આગામી ચૂંટણીમાં રાજ્યભરની 32 જેટલી જેલોમાં બંધ કાચા અને પાકા કામના 17 હજાર જેટલા કેદીઓ મતદાન નહીં કરી શકે. નિયમ મુજબ જેલમાં મતદાનની કોઈ વ્યવસ્થા હોતી નથી. આથી જેલમાં બંધ કેદીઓ મદાનનો ઉપયોગ કરી શકતા નથી. આચારસંહિતા લાગુ થયા બાદ પેરોલ પર પ્રતિબંધ હોવાથી તેઓ જામીન પર મુક્ત થઈને પણ મતદાન કરી શકતા નથી.
રાજ્યની કઈ જેલોમાં કેટલા કેદીઓ?
હાલમાં રાજ્યની 32 જેટલી જેલોમાં 17 હજાર જેટલા કાચા અને પાકા કામના કેદીઓ છે. જેમાં 4500 પાકા કામના કેદીઓ છે અને 12 હજાર કાચા કામના કેદીઓ છે.જેમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3400 કેદીઓ હાલમાં છે. જ્યારે રાજકોટની સેન્ટ્રલ જેમાં 1800, સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં 2800 કેદીઓ અને જામનગર ડિસ્ટ્રિક્ટ જેલમાં 600 કેદીઓ છે.




