Published by : Rana Kajal
- બે વર્ષ માટે મુખ્ય માર્ગ બંધ કરી સૂચવેલા 7 ડાયવર્ઝન પર સાયકલ તો શું ચાલતા પણ ન જવાય
- વૈકલ્પિક માર્ગોને દુરસ્ત કરવા ભરૂચના વેપારીઓ સાથે મળી વિપક્ષ કોંગ્રેસે કલેકટરને કરી રજુઆત
ભરૂચના સેન્ટ ઝેવિયર્સથી મહમદપુરા સુધીના ₹61.89 કરોડના ટ્રાયએન્ગ્યુલર ફલાયઓવરને લઈ જારી કરેલા 7 ડાયવર્ઝન રૂટને દુરસ્ત કરવા વેપારીઓએ કલેકટરને આવેદન આપી રજુઆત કરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દોઢ કિલોમીટર લાંબા અને રૂપિયા 61.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટી આકારના ફલાયઓવર બ્રિજને લઈ જાહેરનામું જારી કરાયું છે. જેમાં કામગીરીને લઈ મુખ્ય માર્ગ 2 વર્ષ માટે બંધ રહેવાનો છે.

જેના વિકલ્પ રૂપે 7 માર્ગો અપાયા છે. જોકે ભરૂચ વેપારી એસોસિયેશને આજે સોમવારે તંત્રને આવેદન આપી આ ડાય વર્ઝન રૂટો પર સાયકલ તો શું પણ ચાલતા પણ ન જવાય તેવી કેફિયત વ્યક્ત કરી છે.
બે વર્ષ રસ્તો બંધ રહેતા હજારો દુકાનદાર અને રહીશોને તકલીફ સાથે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થવાનો છે ત્યારે રોટી, કપડાં અને મકાનના ભોગે વિકાસ નથી જોઈતો નો સુર વેપારીઓએ વ્યક્ત કર્યો છે. સરકાર વેપારીઓને સાથે રાખી કામગીરી કરે તેવી અપીલ કરાઈ છે.

વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે ભરૂચમાં કોઈપણ પ્રોજેકટ તેની નિયત સમય અવધિમાં પૂરો થયો નથી ત્યારે આ ફલાય ઓવર પણ 4 કે 5 વર્ષે પૂર્ણ થશે , આવા સમયે લાંબા ગાળાનું આયોજન કરી વેપારીઓ, દુકાનદારો, રહીશો અને વાહન ચાલકોના હિતમાં તમામને સાથે રાખી નિર્ણય લેવા લાગણી તેમજ માંગણી વ્યક્ત કરી છે.




