સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ ગુજરાતને મળી છે. આજે સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. ટ્રાયલ રનમાં ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવવામાં આવી હતી.
180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડવાની ક્ષમતા ધરાવે છે. ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય એવી શક્યતા છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 હશે. અમદાવાદથી સવારે 7.25 કલાકે ઊપડી બપોરે 13.30 કલાકે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 કલાકે ઊપડી રાતે 21.05 કલાકે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું છે.
હાલ દેશમાં વારાણસી – નવી દિલ્હી અને દિલ્હી – કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે. માત્ર 6 કલાકમાં અમદાવાદ-મુંબઈનું 491 કિમીનું અંતર પૂરું થશે. તેજસ કરતા ઓછું અને શતાબ્દીથી સામાન્ય વધુ ભાડું ધરાવતી આ ટ્રેન ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટની સુવિધા ધરાવે છે. 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર વર્ષ 2023 સુધીમાં ટ્રેન દોડાવાશે. પેસેન્જરો માટે ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધા રાખવામાં આવી છે.