3 જાન્યુઆરી, 2023નો દિવસ ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત બની શકે છે કારણ કે, નવા T20 કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે કરશે. ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં બંને ટીમો મેદાનમાં ઉતરશે. પંડ્યાને ટીમ ઈન્ડિયાનો ભાવિ કેપ્ટન કહેવામાં આવી રહ્યો છે. તેણે ટી20માં સુકાનીપદ સંભાળ્યું છે અને જો તે તેમાં સારો દેખાવ કરે છે તો પંડ્યાને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ મળે તો નવાઈ નહીં. પરંતુ આ માટે પંડ્યા સારી શરૂઆત કરે તે જરૂરી છે.પંડ્યા શ્રીલંકા સામેની આ સિરીઝ જીતવા ઈચ્છશે અને તેના માટે પ્રથમ મેચ ઘણી મહત્વની રહેશે. પ્રથમ મેચ જીતવાથી સિરીઝ જીતવાનો માર્ગ સરળ બની જાય છે.પંડ્યાની ટીમ શ્રીલંકાને હરાવવા માટે તમામ પ્રયાસો કરશે. પરંતુ એક વાત નોંધનીય છે કે આ ટીમ યુવા છે. તેમાં ન તો વિરાટ કોહલી છે, ન રોહિત શર્મા, ન જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને સાથે લઈ ચાલવું પંડ્યા માટે પડકારરૂપ બની શકે છે.
હેડ ટુ હેડ આંકડા શું કહે છે. શ્રીલંકાની ટીમ એશિયન ચેમ્પિયન છે. તેણે ગયા વર્ષે એશિયા કપ-2022માં શાનદાર રમત બતાવી હતી અને પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓથી સજ્જ પંડ્યાની ટીમ માટે શ્રીલંકાને હરાવવું આસાન નહીં હોય. પાછલી મેચો પંડ્યા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે પોતાના દમ પર ટીમમાં આત્મવિશ્વાસ જગાડી શકે છે. જો ભારત અને શ્રીલંકા વચ્ચે T20 ઈન્ટરનેશનલના આંકડા જોવામાં આવે તો બંનેએ અત્યાર સુધી 26 T20 મેચ રમી છે. ટીમ ઈન્ડિયા 17 વખત જીતવામાં સફળ રહી છે જ્યારે શ્રીલંકાની ટીમ આઠ મેચમાં જીતી છે. એક મેચ એવી છે જેનું પરિણામ આવી શક્યું નથી.
આ આંકડાઓને લઈ ટીમ ઈન્ડિયાનું પલડું શ્રીલંકા પર ભારે છે પરંતુ ક્રિકેટના આંકડાથી વધુ એ વાત પર નિર્ભર કરે છે કે, મેચના દિવસે કઈ ટીમ કેવી રમત દેખાડે છે.આવી રહી છેલ્લી 5 મેચ જો છેલ્લા 5 ટી20 મેચના આંકડાઓ જોઈએ તો અહિ ભારતનું પલડું ભારે છે. આ મેચ પહેલા આ બંન્ને ટીમ 6 સપ્ટેમ્બરના રોજ એશિયા કપમાં ટક્કરાય હતી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રેબુઆરમાં શ્રીલંકાએ ભારત પ્રવાસ કર્યો હતો અને 3 મેચની આ ટી 20 સિરીઝમાં ભારતને 3-0થી જીત મળી હતી. 29 જુલાઈ 2021ના રોજ રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને હાર આપી હતી. એટલે કે, 5માંથી 3માં ભારતને જીત મળી છે જ્યારે 2 મેચમાં શ્રીલંકાને જીત મળી છે.