લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની બુધવાર, 10 ઓગસ્ટના રોજ તબિયત લથડી હતી. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજુને જિમમાં વર્કઆઉટ કરતાં સમયે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ તથા PROએ કોમેડિયનને હાર્ટ અટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરતો હતો. આ દરમિયાન ટ્રેડ મિલ પર રનિંગ કરતાં સમયે છાતીમાં દુખાવો થયો હતો અને તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યો હતો.
PRO અજીત સક્સેનાએ કહ્યું હતું કે રાજી પાર્ટીના કેટલાંક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી આવ્યો હતો. તેની પલ્સ હવે નોર્મલ છે અને ટૂંક સમયમાં જ હેલ્થ અપડેટ આપવામાં આવશે.
58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યારબાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-નાના રોલ પ્લે કર્યો હતો. રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.